ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને એજન્સીઓ દ્વારા સર્વે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સર્વે એજન્સીઓના ગુજરાતમાં ધામા
જનતાનું વલણ જાણવા રાજકીય પક્ષોએ એજન્સીઓને સોંપ્યુ કામ
હાલ ગુજરાતમાં 6થી વધુ એજન્સીઓ સર્વેની કામગીરી કરી રહી છે
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેજ રાજકીય ગતિવિધિઓ વચ્ચે ચુંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસ-ભાજપ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા સર્વે એજન્સીઓએ ગુજરાતમાં ધામા નાખી જનતાનો ઝૂકાવ કયા પક્ષ તરફ છે તે જાણવા મથામણ આદરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતમાં લગભગ અઢી દાયકાથી ભાજપ સત્તામાં છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે. તેવામાં આગામી ચુંટણીમાં ભાજપ-કૉંગ્રેસ પૂરતો જંગ સીમિત નથી પરંતુ આમ આદમીની આક્રમક એન્ટ્રી પણ પરિણામો પર અસર પાડી શકે છે.
2 એજન્સી માત્ર સૌરાષ્ટ્રમાં જ કરી રહી છે સર્વે: સૂત્ર
આગામી ગુજરાત વિધાનસભાની ચૂટણી પર માત્ર ગુજરાત, ભારત જ નહી પણ અડધી દુનિયાની મીટ મંડાયેલી છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સર્વે એજન્સીઓના જવાબદારો ગુજરાતમાં આવી ગુજરાતના ગામડા-શહેરો ખૂંદી રહ્યા છે. ચૂંટણી અંગે જનતાનું વલણ શુ છે? તે જાણવા રાજકીય પક્ષોએ એજન્સીઓને કામ સોંપી દીધું છે. જેના ભાગરૂપે હાલ ગુજરાતમાં 6થી વધુ એજન્સીઓ સર્વેની કામગીરીમાં જોતરાઈ છે. ABM એજન્સી સહિતની એજન્સીઓના સ્ટ્રેટેજી મેકર્સ-સર્વેયર ગુજરાતમાં આવ્યા છે. જે ભાજપ, કોંગ્રેસ સહિતની વિવિધ રાજકીય પાર્ટીઓ માટે સર્વે કરી રહ્યા છે. જેમાની હાલ 2 એજન્સી એકલા સૌરાષ્ટ્રના જ જુદા-જુદા શહેરોમાં સર્વે કરી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી યશસ્વી પરિણામ હાંસલ કરવા ભાજપ ખાસ નજર રાખી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ABMની 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ લેવાઇ હતી મદદ
નોંધનિય છે કે,ABM એજન્સીની ગત વિધાનસભાની ચુંટણી એટલે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ મદદ લેવામાં આવી હતી. 2017ની ચુંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ABMના રિપોર્ટ આધારે કામ કર્યું હતુ. જેમાં ભાજપને સફળતા પણ મળી હતી. હાલ રાજ્યમાં ઝોન વાઇઝ સર્વે એજન્સીઓએ ઈન્ચાર્જ બનાવ્યા છે અને ભાજપ માટે એકથી વધુ એજન્સી પ્રજા વચ્ચે જઈ કામગીરી કરી રહી હોવાનું સૂત્રોમાથી જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્ર પર ભાજપની ખાસ નજર
'પાણી પહેલા પાળ બાંધવા'ની માફક ભાજપે અત્યારથી જ કામગીરી આરંભી દીધી છે જેમાં અગામી ચુંટણીમાં સૌરાષ્ટ્ર પર ભાજપની ખાસ મીટ મંડાયેલી છે. સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી વધુને વધુ બેઠક ભાજપના નામે કરવા ભાજપ નીત-નવા અખતરા કરી રહ્યો છે. તાજેતરમાં જ ભાજપે ધારાસભ્યોની કામગીરીને લઇને ખાનગી સર્વે કરાવ્યો હતો. સર્વે માટે અન્ય રાજ્યોના પત્રકારોની ટીમ બનાવી ખાસ સૌરાષ્ટ્રમાં સર્વે કરવામાં આવ્યો હતો. ધારાસભ્યોનો સર્વે કરાયા બાદ રિપોર્ટ કાર્ડ હાઇકમાન્ડને પહોંચાડવામાં આવ્યું હતું. વધુમાં રાજકોટ જિલ્લામાં ભોપાલની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ટીમે સામાન્ય લોકો અને બુદ્ધિજીવીઓ ઉપરાંત ભાજપના કાર્યકરો, પત્રકારો, તબીબો, વકીલ, ચાની હોટલો, ધર્મસ્થાનોમાં જઇને સમાજ-મહિલા સંગઠનો ઉપરાંત વિદ્યાર્થીઓના મત જાણ્યા હતા.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાજેતરમાં જ જામનગર અને રાજકોટના પ્રવાસે આવ્યા હતા. ટૂંકા ગાળામાં સૌરાષ્ટ્રના બે વખત પ્રવાસ ગોઠવાયા હતા આમ તમામ પરિબળોને લઇને સૌરાષ્ટ્રમાંથી યશસ્વી પરિણામ હાંસલ કરવા ભાજપ ખાસ નજર રાખી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અમરેલી, તળાજા, રાજુલા સહિતની બેઠકો પર કબજો જમાવવા માટે ભાજપ એક્ટિવ
ગુજરાતમાં સૌથી વધુ બેઠકો કોંગ્રેસના કબજામાં હોય તો તે છે સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્ર પર પોતાનો પગ જમાવવા માટે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યું છે. આ ચૂંટણીમાં કોઈ કસર છોડવા નથી માંગતું. અત્યારથી જ સૌરાષ્ટ્ર પર ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ચૂક્યું છે. સર્વે ટીમથી લઇને દિગ્ગજ નેતાઓએ સૌરાષ્ટ્રની બેઠકો પર કામગીરી હાથ ધરી દીધી છે. મહત્વનું છે કે, અમરેલી, ધારી, લાઠી, ઉના, કોડીનાર, તલાલા, સોમનાથ, ધાનેરા, માંગરોલ, રાજુલા અને તળાજા સહિતની બેઠકો પર ભાજપની ખાસ નજર છે. ત્યારે આ બેઠકો પર ફરી જીત મેળવવા માટે ભાજપે પોતાની સર્વે ફોજ મોકલી દીધી છે.
સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ તેવી ચર્ચા જાગી હતી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતાએ જોર પકડયું હતું. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. તેવી પણ અગાઉ ચર્ચા જાગી હતી.4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા છે. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.
ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે ધારાસભ્યોનો પેચ ફસાયો
તદુપરાંત 182 બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છુટ્ટો દોર આપી દીધો છે. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાત્રી માંગી રહ્યાં હોવાથી અમુક ધારાસભ્યોનો પેચ ફસાયો છે. તો સામે બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે ‘સાચવી’ લેવા માટે પણ ‘ગોઠવણ’ કરવામાં આવી રહી છે.
સૌ કોઇ ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ સક્રિય કરાયો!
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલના જોરે ચૂંટાયેલા અને એક સમયના તેના જ સાથીદારો ધીરે-ધીરે ભાજપમાં જોડાય તે માટે હાર્દિકને જ અંદરખાને સક્રિય કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર ગેઈમ પ્લાન એક બિનરાજકીય પાટીદાર નેતાના આશિર્વાદથી ચાલી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.