રાજકોટના ગોંડલમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલમાં રખડતા ઢોરનો આતંક
આખલાએ વૃદ્ધને લીધા અડફેટે
3 સપ્ટેમ્બરથી સારવાર હેઠળ હતા વૃદ્ધ
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત નીપજે છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. ગુજરાત હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરના ત્રાસની સ્થિતિ લગભગ યથાવત્ જોવા મળી રહી છે. શહેરોના સ્માર્ટ રોડ હજુ સુધી ઢોર મુક્ત થયા નથી. ત્યારે રાજકોટ જિલ્લામાં એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે.
આ અંગે મળતી વિગત અનુસાર, રાજકોટ જિલ્લાના ગોંડલના દરબાર ગઢમાં ગત 3 સપ્ટેમ્બરના રોજ ગોપાલભાઈ આરદેસાણા નામના વૃદ્ધને ખુંટીયાએ અડફેટે લીધા હતા. આ બનાવ બાદ લોકોના ટોળેટોળા બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા અને વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
3 સપ્ટેમ્બરથી સારવાર હેઠળ હતા વૃદ્ધ
ગત 3 સપ્ટેમ્બરથી ગોપાલભાઈ સારવાર હેઠળ હતા. જેમનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કડક પગલા ભરવાનો હાઈકોર્ટનો આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે. ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તેમજ બનાવેલા પ્લાનનો અમલ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338 અને 188 હેઠળ ગુનો નોંધવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે.