વડોદરાના દાંડિયાબજારમાં આવેલા ફાયર સ્ટેશનને તોડી નાંખ્યા બાદ ફાયરના સાધનો મુકવાની અગવડતા છે. ફાયરના સાધનો ખુલ્લી જગ્યામાં મુકવામાં આવી રહ્યા છે. જેના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. જેને લઈને માગ ઉઠી છે કે વડોદરા મનપા દ્વારા ફાયરબ્રિગેડના ઈમરજન્સી વાહનો મુકવાની તાત્કાલિક સગવડ કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
વડોદરાના હાર્દ સમાન દાંડિયાબજાર વિસ્તારમાં વર્ષો જૂની ફાયર બ્રિગેડની ઇમારત આવેલી હતી. આ ઇમારત રોડ પરથી પસાર થતાં ટ્રાફિકમાં અવરોધ રૂપ હોવાનું કારણ આપીને તેને પાલિકા દ્વારા તોડી પડાયું હતું. આ જગ્યા હાલ સમતળ બનાવી દેવામાં આવી છે. એક તરફ ઇમારત તોડી નાખ્યા બાદ ફાયર વિભાગના સાધનોની હાલત ખખડધજ બની છે. કેમ કે આ સાધનોને રોડ પર ખુલ્લામાં મુકવામાં આવ્યા છે. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનોને કારણે ઊડતી ધૂળના કારણે ફાયરના મોંઘા સાધનોની હાલત ખરાબ બની છે. આ અંગે તંત્રને જાણ કર્યા છતા હજુ કોઈ પગલાં લેવાયા ન હતા. હાલ પણ આ સાધનો ત્યા જ પડી રહ્યા છે. તેની હાલત ખખડધજ બની છે. શહેરના મધ્યમાં આવેલા આ ફાયર સ્ટેશન આગના બનાવમાં કામગીરી માટે ઉત્તમ સાબિત થતું રહ્યું છે. ત્યારે આ ઇમારતમાં પહેલા ફાયર વિભાગના કર્મચારીઓ રહેતા હતા. પરંતુ ઇમારત તોડી પડાયા બાદ હવે કર્મચારીઓની રહેવાની વ્યવસ્થા પણ સરખી ન કરાઈ હોવાની વાત સામે આવી હતી. લોકોને ઈમરજન્સી સેવા પહોંચાડતી આ સેવાના સાધનોની હાલત બિસમાર છે. ત્યારે જાગૃત નાગરિકોની માગ છે કે આ મોંઘા સાધનોને સરખી જગ્યાએ મુકવાની વ્યવસ્થા કરવામાં આવે.
ફાયર વિભાગના સાધનોને હવે સુરક્ષા આપવાની જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે પાલિકા પણ મોડેમોડે આ દિશામાં વિચાર કરી રહી છે. પાલિકાએ આ જગ્યા પર શેડ બનાવીને આ વાહનોને પાર્ક કરવાની વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. જો કે હજુ આ મામલે મેયર ખાલી વાત કરી છે અમલ ક્યારે કરવામાં આવશે તે હજુ કોઈ પ્લાન નક્કી કરાયો નથી. પરંતુ હાલ ચોક્કસ એ વાત છે કે ફાયરના સાધનોની સલામતી લેવાની તકેદારી લેવામાં આવી નથી.
બીજી તરફ આ ઈમારતમાં રહેતા ફાયર સ્ટાફના લોકો અન્ય ભાડે રહી રહ્યા છે. ઈમારત તોડી પરંતુ હવે તેનું નિર્માણ કરવાનું મનપા ભુલી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વર્ષો બાદ પણ પાલિકાએ કોઈ પણ પ્રકારની ઇમારત ન બનાવી અને નવી ઈમારત બનાવવાના નામે લોલીપોપ આપ્યાનું લોકો કહી રહ્યા છે. આ મામલે મેયરે યોજના કહી છે પણ અમલ ક્યારે તે હજુ કોઈને જાણ કરાઈ નથી.
હાલ આ સમગ્ર મામલે લોકો કહી રહ્યા છે કે લોકોના જીવનું રક્ષણ કરતા આ સાધનો રોડ પર ધૂળ ખાઈ રહ્યા છે. જનતાના ટેક્ષના પૈસે આવેલા આ મોંઘા સાધનોની દરકાર લેવાની તસ્દી મનપાના અધિકારીઓ લેતા નથી. ત્યારે જૂની ઈમારત તોડી અને નવી બનાવવાનું કોઈ આયોજન ન હતું તો ઈમારત તોડી કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.