કોઈની પાસે ખામીવાળુ સ્કૂટર હોય તો કંપની રિપ્લેસ કરી આપશે
દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ વચ્ચે લોકપ્રિય ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપનીઓમાંની એક ઓકિનાવા ઓટોટેકે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના બહુચર્ચિત Praise Pro સ્કૂટરના 3215 યૂનિટ્સને પાછા મંગાવી લીધા છે. સ્કૂટર્સની બેટરીમાં ખામી સર્જાતા કંપનીએ તેના સ્કૂટરો પાછા બોલાવી લીધા છે. ઓકિનાવાએ એક સ્ટેટમેન્ટ જારી કરીને જણાવ્યું કે પાછા મંગાવવામાં આવેલા સ્કૂટરોની બેટરીની ખામી તાત્કાલિક ધોરણે ઠીક કરવામાં આવશે.
કંપની ગ્રાહકોનો સંપર્ક કરી રહી છે
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓકિનાવા અધિકૃત ડીલરશીપમાં લૂઝ કનેક્ટર અથવા બેટરીમાં કોઈ પણ નુકસાનની તપાસ અને સમારકામ વિના મૂલ્યે કરવામાં આવશે." ઇલેક્ટ્રિક ટુવ્હિલર ઉત્પાદક ડીલર ભાગીદાર સાથે નજીકથી કામ કરી રહ્યું છે જેથી રિપેરિંગમાં કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરી શકાય. આ માટે કંપની પોતે જ ગ્રાહકોનો સંપર્ક કરી રહી છે. કંપની પાસે દેશભરમાં લગભગ 500 ડીલર્સનું નેટવર્ક છે.
જિતેન્દ્ર ઇલેક્ટ્રિકના 40 સ્કૂટરો સળગી ઉઠ્યાં હતા
તાજેતરમાં જિતેન્દ્ર ઇલેક્ટ્રિકના લગભગ 40 ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)માં આગ લાગી હતી. ઇ-સ્કૂટરને ફેક્ટરીથી કન્ટેનરમાં લઇ જવામાં આવી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી.
ઓલા અને પ્યોર ઇવીના સ્કૂટરમાં પણ આગ લાગવાની ઘટના બની ચૂકી છે
ઓલા અને પ્યોર ઇવીના સ્કૂટરમાં પણ આગ લાગવાની ઘટનાઓ બની હતી. 28 માર્ચના રોજ પુણેમાં ઓલા એસ1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. તે જ સમયે, ચેન્નાઇમાં પ્યોર ઇવીના સ્કૂટરમાં આગની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.