અમદાવાદ જ નહીં રાજ્યભરમાં એક જ તેલનો જુદાં જુદાં ફરસાણમાં ઉપયોગ કરીને તેલની ગુણવત્તા સાવ ખલાસ થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરનારા ફરસાણના વેપારીઓ સામે હવે સરકારે કાયદાની જોગવાઈ કડક બનાવી છે.
૧લી જુલાઈથી નવો ફૂડ સેફટી કાયદો અમલી થઈ રહ્યો છે ત્યારે આવા તેલનો ઉપયોગ કરનારા વેપારીઓને હવે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. માત્ર નજીવો દંડ ભરીને લોકોના જીવન સાથે ખિલવાડ કરનારા વેપારીઓ જો તંત્ર આ કાયદાનો સારી રીતે અમલ કરશે તો કેદની સજા અને ફોજદારી કેસમાંથી છૂટી શકશે નહીં.
ફૂડ વિભાગના આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફરસાણમાં વપરાયેલાં તેલની ગુણવત્તા એટલેકે ટીપીસી- ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ જાણવા માટે ગરમ તેલના નમૂના લેવાના હોય છે પરંતુ ફૂડ વિભાગ અત્યાર સુધી ઠંડાં થયેલાં તેલના નમૂના લેતું હતું.
જેના કારણે ટીપીસી ઓછા આવે અને વેપારી છટકી જાય. હવે રાજ્ય સરકાર ફૂડ વિભગને નવાં ટીપીસી મશીન આપી રહ્યું છે. જેમાં તેલમાં નોઝલ નાખતાં જ મશીન પર તેલના કાઉન્ટ દેખાશે. જો ૨૫ ટકાથી વધુ કાઉન્ટ મશીન પર આવશે તો તેવા વેપારી સામે ફોજદારી કાર્યવાહી થશે.
ફરસાણના વેપારીઓ દ્વારા ભજિયાં, ફાફડા, દાળવડાં, ગાંઠિયા સહિત જુદાં જુદાં ફરસાણ બનાવતી વખતે એક જ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેલ કાળું ન પડી જાય ત્યાં સુધી તેનો વપરાશ કરવામાં આવતો હોય છે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેની ગુણવત્તા ખતમ થઈ જાય છે એટલું જ નહીં આવા તેલમાંથી બનેલું ફરસાણ ખાવાથી અનેક બીમારીઓ થાય છે. કાયદાનો કડક અમલવારીનો અભાવ લાલિયાવાડી અને આરોગ્ય ખાતાની બેદરકાર ના કારણે આ પ્રકારની કામગીરી સતત ચાલતી રહે છે.
કોર્પોરેશનનો હેલ્થ વિભાગ અવારનવાર આવી દુકાનો પરથી ફરસાણના અને તેલના નમૂના લઈ લે છે પણ ભાગ્યે જ કોઈ વેપારી ઝપટમાં આવે છે શહેરમાં છેલ્લાં દસ વર્ષમાં ફરસાણ કે તેલમાં ભેળસેળના કારણે કોઈ વેપારીને દંડ સિવાયની કોઈ સજા થઈ હોય તેવા કિસ્સા ધ્યાને આવ્યા નથી. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કાનૂની જોગવાઈ અત્યંત કડક બનાવવાની માગણી ઘણા લાંબા સમયથી હતી. હાલમાં આ અંગેની જોગવાઈઓ સરળ હોવાના કારણે ભેળસેળિયા વેપારીઓ છટકી જાય છે.