મુસ્લિમ દેશો અને ચીને રશિયા-યુક્રેનનો ઉકેલ શોધવા માટે ભાગીદારી કરવી જોઈએ : ઇમરાન
પાકિસ્તાન (Pakistan) ની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં ઈમરાને ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે હવે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભારત વતી કહેવામાં આવ્યું કે, OICની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારે છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મામલો છે. ચીન સહિત અન્ય દેશોને તેની વિશે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી.
તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાને મુસ્લિમ દેશોની 57 સભ્યોની સંસ્થા OICની કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સ (CFM)નાં 48માં સત્રના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. જેમાં ઈમરાને કહ્યું હતું કે, 'અમે પેલેસ્ટાઈન અને કાશ્મીરના લોકો સમક્ષ નિષ્ફળ ગયા છીએ. મને એ કહેતા દુઃખ થાય છે કે અમે કોઈ અસર કરી શક્યા નથી. તેઓ અમને ગંભીરતાથી લેતા નથી, અમે વિભાજિત છીએ અને તે શક્તિઓ આને જાણે છે. હાલમાં ઈમરાન ખાન પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવતા જોવા મળી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન તેઓ આ રાજકીય ઉથલપાથલથી બચવા માટે OICની બેઠકમાં પહોંચીને પેલેસ્ટાઈન અને કાશ્મીરના મુદ્દા પર મુસ્લિમ દેશોને સાથે આવવાની વાત કરી રહ્યાં છે.
ચીનમાં ઉઇગર લોકો પર અત્યાચાર શરૂ
ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યી તેમના પાકિસ્તાની સમકક્ષ કુરેશીના આમંત્રણ પર OICની બેઠકમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લઈ રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં માનવાધિકારના ઉલ્લંઘન બાદ પણ ઇમરાન ચીનને સમર્થન આપે છે. વર્ષોથી, ચીની સત્તાવાળાઓએ ઉઇગુર અને અન્ય તુર્કિક લઘુમતીઓની બળજબરીથી ધરપકડ કરી રાખી છે અને તેમને અટકાયત કેમ્પોમાં મૂકી રાખ્યાં છે. આ કેમ્પોમાં તેઓને ત્રાસ આપવામાં આવે છે. અહીં જેલમાં બંધ લોકોનું શારીરિક શોષણ પણ થાય છે. અમેરિકા અને ઘણાં પશ્ચિમી દેશોનું કહેવું છે કે, ચીન અહીંયા નરસંહાર કરી રહ્યું છે.
રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવા ચીન આગળ આવ્યું
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે, "શીત યુદ્ધ" અને હરીફ જૂથોની રાજનીતિનાં કારણે વિશ્વ "ખોટી" દિશામાં જઈ રહ્યું છે. તેઓએ સૂચન કર્યું કે, મુસ્લિમ દેશો અને ચીને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ભાગીદારી કરવી જોઈએ.