26 જુલાઈથી ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થશે, આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે, જો કે, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે
50 ટકાની ક્ષમતા સાથે વર્ગો શરૂ કરવાની છૂટ
ઓફલાઈન અભ્યાસ માટે વાલીઓનું સંમતિપત્રક જરૂરી
ઓનલાઇન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે
રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે કોલેજો બાદ હવે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 26 જુલાઈથી ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થશે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. જો કે, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. સાથે જ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે. દરેક શાળાઓએ કોરોના નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન કરવાનું રહેશે. આપને જણાવી દઈએ કે, આ અગાઉ રાજ્ય સરકારે ઉચ્ચત્તર માધ્યમિક ધો-12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરાયો હતો.
CM રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં અંગેનો નિર્ણય લેવાયો હતો
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે અને એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે
આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.
રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.
કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.