ભાવનગર મનપાના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર મામલે મનપાની સાધારણ સભા તોફાની બની હતી. જેને લઇને મેયરે સામાન્ય સભામાંથી ચાલતી પકડી હતી.
ભાવનગરમાં ભ્રષ્ટાચાર મામલે મનપાની સાધારણ સભા બની તોફાની
વિપક્ષ નેતાએ મનપાના અધિકારીઓ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
લિઝ પટ્ટા રીન્યુ કરવા માટે અધિકારીઓએ 15 લાખ પડાવ્યા: વિપક્ષીનેતા
ભાવનગર ખાતે આજે મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં ભ્રષ્ટાચાર મામલે મનપાની સાધારણ સભા તોફાની બની હતી. બેઠકમાં મનપાના વિપક્ષી નેતાએ અધિકારીઑ સામે ભ્રષ્ટાચારના ધગધગતા આરોપો લગાવ્યા હતા એટલું જ નહિ અધિકારીઓ રુપિયા લીધા વગર ન કરતાં હોવાની પણ રાવ ઉઠાવી હતી.
મેયરે સામાન્ય સભામાંથી ચાલતી પકડી
ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષી નેતાએ મનપાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી જણાવ્યું હતું કે લીઝપટ્ટા રીન્યુ કરવા માટે અધિકારીઓએ 15 લાખ લીધા હતા. વધુમાં મનપાના અધિકારીઓ રુપિયા લીધા વગર કામ ન કરતા હોવાનું પણ વિપક્ષી નેતાએ ઉમેર્યું હતું. વિપક્ષના નેતાએ ખુલ્લેઆમ આક્ષેપો કરતા સામાન્ય સભામા સન્નાટો છવાયો હતો. બીજી તરફ શાસક પક્ષના નેતાઓએ પણ ભ્રષ્ટાચાર મામલે સામાન્ય સભામાં નિવેદન કર્યું હતું. મનપાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો હોય તો કાર્યવાહી કરવા શાસક પક્ષે જણાવ્યું હતુ. આ મામલે હોબાળો થયા મેયરે સામાન્ય સભામાંથી ચાલતી પકડી હતી અને મેયર બાદ તમામ નગરસેવકો પણ સભા છોડી બહાર નીકળી ગયા હતા.
અગાઉ મનરેગામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચામાં હતો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાવનગરમાં મનરેગામાં તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જેમાં જેસરના શાંતિનગર ગામે સ્થળાંતર થયેલા લોકો, સાસરીયે ચાલી ગયેલી દિકરીઓ અને મૃતકોના નામો સરકારી ચોપડે ચડાવી અને લાખોનું ચુકવણું કરાયું હોવાની રાવ ઉઠી હતી.જેમાં ચોપડે 6825 દિવસ 500 થી વધુ લોકોને કામ કરી રૂ.14.46 લાખ ચુકવ્યા હોવાનું સામે આવ્યું હતું.