ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે.
માં શક્તિની ઉપાસના અને ભક્તિનો મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે. આજે ચોથું નોરતું છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની જાહેરાત કરતા ગરબાપ્રેમીઓમાં આનંદનો માહોલ છવાયો છે.
આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ
ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે. જોકે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે. ભેજવાળા વાતાવરણને લઈને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.
ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીવત
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેશે, તો ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ આગાહી નથી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
ગતરોજ આ વિસ્તારોમાં ખાબક્યો હતો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતમાં સુરત, અમરેલી, બોટાદ, ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજુલાના છતડીયા કડીયાળી, હિંડોરાણા વડ સહિતના ગામડાઓમાં વરસાદ ત્રાટક્યો હતો. વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા. આથી ચોમાસું પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુકાયા હતા મૂંઝવણમાં
વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના કામરેજ અને આસપાસના વિસ્તારમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એક બાજુ સુરતમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો કરાયા છે ત્યારે વરસાદ વેરી બને તેવા ડરને લઇને નવરાત્રીનું આયોજન કરતા લોકો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. તેમજ ભરૂચ શહેરના કોલેજ રોડ, શક્તિનાથ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં ત્રીજા નોરતે વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું ખાબક્યું હતું. વાઘોડિયા રોડ અને સોમા તળાવ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.