અમદાવાદનાં 450 કરોડનાં રોડ કૌભાંડમાં વિજિલન્સની તપાસ પુરી થઈ ગઈ છે. જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિતા 84 કસુરવારોને નોટિસ ફટાકાઈ હતી. જોકે વિજિલન્સની તપાસમાં માત્ર 39 નાના અધિકારીઓને જ દંડ કરવામાં આવ્યો છે. વિજિલન્સની આ તપાસ શંકા ઉપજાવે તેવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
રોડ કૌભાંડમાં 84 આરોપીઓમાંથી માત્ર 39 નાના અધિકારીઓ જ કસુરવાર
વિજિલન્સની તપાસ અનેક શંકા ઉપજાવે તેવી
450 કરોડનાં કૌભાંડીઓને માત્ર 11 લાખની જ સજા
બે વર્ષ પહેલાં શહેરનાં રોડ તુટી ગયા હોવાને કારણે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં ઈજનેરો દ્વારા 450 કરોડનું રોડ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. લોકોએ પણ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો. ન્યાયાધીશોની ટકોર બાદ કોર્પોરેશને એક્શન લીધા હતાં. આ કૌભાંડમાં તંત્રની પ્રાથમિક વિજિલન્સ તપાસ હેઠળ કુલ 78થી વધુ રોડમાં ડામર ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું.
શું વિજિલન્સ કુલડીમાં ગોળ ભાંગ્યો?
ઈજનેર વિભાગનાં ૭ ઉચ્ચ અધિકારી સહિતનાં કુલ ૮૪ કસુરવારને નોટિસ અપાઈ હતી. રાજ્યભરમાં ગાજેલાં આ રોડ કૌભાંડ મામલે સત્તાવાળાઓની વિજિલન્સ તપાસ પૂરી થઈ હોય થોડા દિવસો પહેલાં કેટલાક નાના અધિકારીઓને દંડિત કરાયાં છે. પરંતુ જે પ્રકારે દોષિતોને શિક્ષા કરાઈ રહી છે. તેને જોતાં કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોવાની વ્યાપક ચર્ચા ઊઠી છે.
કરોડોનાં કૌભાંડમાં માત્ર નામનો જ દંડ
તંત્રએ રપ આસિ. ઈજનેર અને ૧૪ આસિ. સિટી ઈજનેર મળીને ફક્ત ૩૯ નાના અધિકારીઓ સામે માત્ર દંડનીય કાર્યવાહી કરી છે. કરોડો રૂપિયાનાં રોડ કૌભાંડમાં આ કસુરવારોને માત્ર રૂ.૧૧ લાખનો દંડ કરાયો છે કે પછી લોકોની આંખમાં ધૂળ નાખવાની કોશિશ કરાઈ હોવાની ચર્ચા ઊઠી છે.
શું કોર્પોરેશન જ કૌભાંડીઓને સત્તા સોંપશે ?
છેલ્લાં બે વર્ષમાં એડિશનલ સિટી ઇજનેર કક્ષાનાં ઉચ્ચ અધિકારીને કસુરવાર હોવા છતાં સિટી ઇજનેરનું પ્રમોશન આપનાર સત્તાવાળાઓ આગામી દિવસોમાં તેમની સામે કેવાં પ્રકારની કાર્યવાહી કરે છે. તેની તરફ સૌની નજર મંડાઈ છે. બીજી તરફ નવાં પશ્ચિમ ઝોનનાં સૌથી વધુ ૩ર રોડ તૂટ્યાં છે, પરંતુ તેમાં પણ તંત્રએ માત્ર ત્રણ આસિ. ઇજનેરને પેનલ્ટી ફટકારી હોઈ દોષિતોને દંડીત કરવાની સમગ્ર કવાયત હાસ્યાસ્પદ ઠરી છે.