રાજ્યમાં વરસાદના પાણી ઓસરતાં ઝાડા, ઉલ્ટી અને તાવ જેવો રોગચાળો વ્યાપક બન્યો છે, વાઈરલ અને પાણીજન્ય રોગચાળાને નાથવા રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઇકાલે આરોગ્યને લઈને બેઠક બોલાવી હતી. જેમાં મચ્છરદાની વાતને લઇને અધિકારીએ ખોટાં આંકડા આપતાં નીતિન પટેલે રોષ સાથે અધિકારીને જાહેરમાં ઠપકો આપ્યો હતો.
બેઠકમાં બિમારીના નિદાન અને ઝડપી સારવાર માટે હેલ્પલાઈન 104નો સંપર્ક કરવા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. જ્યારે વિવિધ બિમારીના કેસોની સંખ્યાને લઇ અધિકારીઓને રીતસરનો ઉધડો લીધો હતો અને તેમણે કરેલી કામગીરીનો રીપોર્ટ માંગી જે વિસ્તારમાં મલેરિયા કે અન્ય કેસોની સંખ્યા વધશે તે વિસ્તારના અધિકારીની સીધી જવાબદારી બનશે એવું નીતિન પટેલે જણાવ્યું હતું.
બેઠકમાં નીતિન પટેલે એક અધિકારીને શું કામગીરી કરી તેવું પુછ્યું હતું. જ્યારે અધિકારીએ 1.60 લાખ મચ્છરદાનીનું વિતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ વાતથી પ્રભાવિત થઇને નીતિન પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આટલી મચ્છરદાની હજુ પુરી જ પડાઇ નથી. જેથી તેમને ખુલાસો કરવાનું કહેતા અધિકારીએ કહ્યું કે, આ આંકડા બે વર્ષના છે. આ સાંભળીને નીતિન પટેલે રોષ સાથે અધિકારીને જાહેરમાં ઠપકો આપ્યો હતો અને તમામ અધિકારીને સાચી માહિતી જ રજૂ કરવા તાકીદ કરી હતી.
જિલ્લામાં રોગચાળા નિયંત્રણની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, જિલ્લામાં રોગચાળા નિયંત્રણ માટેની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહન અપાશે પરંતુ નબળી કામગીરી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. મિડીયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં મેલેરિયાના કેસોમાં ગત વર્ષની સરખામણીએ જુલાઇ સુધીમાં 49.4 ટકાનો જ્યારે ચીકનગુનિયાના કેસમાં 12 ટકાનો ઘટાડો થયો છે.
નીતિન પટેલે ડેન્ગ્યુના કેસના ઝડપી નિદાન માટે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા ડેન્ગ્યુ નિદાન કેન્દ્રો કાર્યરત હોવાનું જણાવીને નાગરીકોને મેલેરીયાના નિદાન માટે ફિવર હેલ્પ લાઈન અને આ પ્રકારના કેન્દ્રોનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.