ઓડિશા ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનામાં અનેક કહાનીઓ બહાર આવી જેને ચમત્કાર કહી શકાય, એમાંથી એક છે કે પિતાની જિદ્દે તેના પુત્રને મૃત્યુથી બચાવ્યો
ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે
અકસ્માત બાદ અનેક કહાનીઓ બહાર આવી જેને ચમત્કાર કહી શકાય
પુત્રને મૃત માનીને મૃતદેહો વચ્ચે રાખવામાં આવ્યો હતો, પિતાની જિદ્દે મૃત્યુથી બચાવ્યો
ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે તો 1100 જેટલા લોકો ઇજાગ્રસ્ત થાય છે. અકસ્માતના દુ:ખ અને શોકના આ વાતાવરણમાં આવી અનેક કહાનીઓ પણ બહાર આવી રહી છે, જેને ચમત્કાર જ કહી શકાય. એમાંથી એક છે કે પિતાની જિદ્દે તેના પુત્રને મૃત્યુથી બચાવ્યો. પુત્રને મૃત માનીને મૃતદેહો વચ્ચે રાખવામાં આવ્યો હતો.
પુત્રને ટ્રેનમાં બેસાડ્યાના કલાકો બાદ જ અકસ્માત
રિપોર્ટ અનુસાર હાવડામાં પોતાની દુકાન ચલાવતા હેલારામે અકસ્માતના થોડા કલાકો પહેલા તેમના પુત્ર બિસ્વજીત મલિકને શાલીમાર સ્ટેશન પરથી ટ્રેનમાં બેસાડ્યો હતો. જ્યારે તેને બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટના વિશે ખબર પડી ત્યારે તે ચિંતિત થઈ ગયો અને તરત જ તેના પુત્રને ફોન કર્યો અને તેની સ્થિતિ જાણવા માંગી. પુત્ર બિશ્વજીત મલિકે ફોન ઉપાડ્યો પરંતુ ગંભીર ઈજાઓને કારણે તે વધુ બોલી શક્યો નહીં અને બેહોશ થઈ ગયો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2023
આખી રાત ડ્રાઇવ કરીને હાવડાથી બાલાસોર પહોંચ્યા
આ ફોન કોલથી હેલારામ મલિકને ખબર પડી કે તેનો પુત્ર આ ઘટનામાં બચી ગયો છે પણ ગંભીર રીતે ઘાયલ છે અને તેને તાત્કાલિક મદદની જરૂર છે. તેણે તેના સાળા અને સ્થાનિક એમ્બ્યુલન્સ ડ્રાઈવર પલાશ પંડિતને ફોન કરીને બાલાસોર જવાની તૈયારી કરી. ઘટનાની રાત્રે જ તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. હાવડાથી બાલાસોરનું અંતર 230 કિમી છે. મોડી રાત્રે બાલાસોર પહોંચીને તેના પુત્ર બિસ્વજીત મલિકને શહેરની દરેક હોસ્પિટલમાં શોધ્યો પરંતુ તે ક્યાંય મળ્યો નહીં.
મૃતદેહો વચ્ચે પુત્રનો હાથ હલતા જોવા મળ્યો
જ્યારે હોસ્પિટલમાં તેમનો પુત્ર ન મળ્યો ત્યારે મનમાં ઘણા ખરાબ વિચાર આવ્યા પણ મનના કોઈ ખૂણામાં તેમને આશા હતી કે તેમનો પુત્ર ચોક્કસપણે જીવિત છે. તેઓ તેને શોધતા રહ્યા. આ દરમિયાન કોઈએ તેને બહાનગા હાઈસ્કૂલમાં જવાની સલાહ આપી, જ્યાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા. પહેલા અધિકારીઓએ શરૂઆતમાં તેમને મૃતદેહો જોવાની મંજૂરી આપી ન હતી. પાછળથી કોઈએ કહ્યું કે લાશનો હાથ હલતો હતો. આ પછી અધિકારીઓએ તેમને અંદર જવાની પરવાનગી આપી.
કોલકાતામાં ચાલી રહી છે સારવાર
મૃતદેહો વચ્ચે હલતો એ હાથ બિસ્વજીત મલિકનો હતો, જે ખૂબ જ ઘાયલ અવસ્થામાં મૃતદેહો વચ્ચે પડેલો હતો. અધિકારીઓની પરવાનગી લીધા પછી, તેને એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બાલાસોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને કેટલાક ઈન્જેક્શન આપવામાં આવ્યા. તેમની ગંભીર સ્થિતિને જોતા કટક મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે તેણે પુત્રને ત્યાં લઈ જવાની ના પાડી અને બોન્ડ પર સહી કરી તેને કોલકાતા લઈ આવ્યો છે. હાલ તેના શરીરમાં ઘણા ફ્રેક્ચર જોવા મળ્યા છે.