મોદીની સુનામી વચ્ચે જો કોઈ ટકી શક્યું હોય તો તે એક નામ છે ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક. વિધાનસભા ચૂંટણીમાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે 146માંથી 103 સીટ મેળવી અને ફરી સરકાર બનાવવામાં સફળતા મેળવી.
તો લોકસભાની ચૂંટણીમાં પણ મોદીની અસરને સિમિત રાખવામાં પટનાયક સફળ રહ્યા છે. ઓડિશાની લોકસભાની 21 બેઠકમાંથી 14 બેઠકો પર જીત મેળવી છે. જોકે, ભાજપે અહીં પ્રદર્શન જરૂર સારું કર્યું પણ તે બેઠક 7થી વધારી ન શક્યું તે પણ સત્ય છે.
2019ની લોકસભાની આ ચૂંટણીમાં ભાજપે લૂક ઈસ્ટની રણનીતિથી કામ કર્યું હતું. જેના ભાગરૂપે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર પૂરતી તાકાત લગાવી ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં બંગાળમાં ભાજપ ભંગાણ પાડવામાં ઘણે અંશે સફળ રહ્યુ પણ ઓડિશામાં ભાજપની કારી ફાવી નહીં.
ઓડિશાનો ગઢ જીતવા માટે ભાજપે નવીન પટનાયકના ઘણા સાથીએ તોડ્યા. પરંતુ આ ફોર્મ્યુલા પણ ભાજપને કામ આવી ન હતી.
તો નવીન પટનાયક મોદી-શાહની રણનીતિ ખાળવા કેમ સફળ રહ્યા તે જાણવું પણ જરૂરી છે. નવીન પટનાયક ઓછું બોલી વધુ કામ કરનાર નેતા છે. તેમના વિકાસ કાર્યોએ જ તેમને જીતાડ્યા છે. નવીન પટનાયક ઓડિશાના વિકાસપુરૂષ તરીકે પણ જાણીતા છે. તેઓ 20 વર્ષથી ઓડિશામાં રાજ કરે છે. ઓડિશામાં તેમની લોકપ્રિયતા બુલંદી પર છે.
ઉલ્લેખનિય છે કે હાલમાં સાયક્લોન આવ્યું તે વખતે પણ નરેન્દ્ર મોદીએ નવીન પટનાયકની રાહત કામગીરીને બિરદાવી હતી. કહેવાય છે કે મિતભાષી નવીન પટનાયક બોલે ભલે ઓછું પણ તેનું કામ સદા બોલતું રહે છે. આના કારણે જ તેઓ આજે પણ ઓડિશાના સિંહાસન પર અજેય છે.