રાજનીતિમાં એક બીજાના સખત વિરોધીઓ એક ટેબલ પર ભોજન લેતા નજરે પડે તો સ્વાભાવિક છે કે જોનારને આશ્ચર્ય જરૂર થાય. આવી જ એક ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં બની હતી.
એકબીજાના પ્રખર વિરોધીઓએ એક ટેબલ પર બેસીને લીધું ભોજન
અમિત શાહ અને મમતા બેનર્જીએ સાથે લીધું ભોજન
ઓડિશાના મુખ્યમંત્રીના ઘરે યોજાઇ
રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર તથા કેન્દ્રીય પેટ્રોલીમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો આતિથ્ય સત્કાર કરતા નજરે ચઢ્યા હતા. તમામ નેતાઓએ નવીન પટનાયકના નિવાસસ્થાને ભોજન લેતા જોવા મળ્યા હતા.
પૂર્વ ઝોનલ કાઉન્સિલની 24 મી બેઠક મળી હતી
નોંધનીય છે કે, પૂર્વ ઝોનલ કાઉન્સિલની 24 મી બેઠક શુક્રવારે યોજાઇ હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક ઉપસ્થિત રહ્યા હતા. બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પૂર્વ ઝોનલ કાઉન્સિલના સભ્યો છે.
બેઠક બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એકબીજાના પ્રખર વિરોધીઓ મમતા બેનર્જી અને અમિત શાહને તેમના નિવાસસ્થાને બપોરના ભોજન માટે આમંત્રણ આપ્યું. આ સિવાય પટનાયકે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પણ જમવા માટે આમંત્રણ આપ્યું હતું. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પૂર્વ ઝોનલ કાઉન્સિલની બેઠકમાં પહોંચી શક્યા નહોતા. સોરેને નાણા પ્રધાન રામેશ્વર ઓરાઓને તેમની જગ્યાએ બેઠકમાં મોકલ્યા. માનવામાં આવે છે કે ઝારખંડ વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતના કારણે તેઓ આવ્યા નથી.
CAAના સમર્થનમાં કરશે સભા
આપને જણાવી દઇએ કે, દેશના તમામ ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે. ઓડિશાના મુખ્યમંત્રી પટનાયક પૂર્વી ઝોનલના ઉપાધ્યક્ષ છે. આ બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં એક સભાને સંબોધન કર્યું હતું.