ગઈકાલે જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની વિરુધ્ધમાં પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરે આજે દિયોદરના કોતરવાડા ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.
અલ્પેશ ઠાકોરે જંગી સભા કરી ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો પ્રચંડ મતદાન કરી તેના માટે મત પણ માંગ્યા હતા.
તો અલ્પેશે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ૫૦ સીટો લાવતી પાર્ટી ૮૪ સીટોએ પહોંચી છે. પાર્ટી જોડાયા ત્યારે કહેલું કે તમારા લોકોને અને તમને સન્માન આપીશુ. પરંતુ ધીરે ધીરે અમારી અવગણના સમાજ અને સેના સાથે એક પ્રકારનો વ્યવહાર થવા લાગ્યો. ગરીબો ટીકીટ માંગે ત્યારે તેમને કહેવાય પૈસા છે? ઠાકોર સમાજ ટીકીટ લેવા જાય ત્યારે કહે કે તમારી પાસે સમાજ છે?
તો પોતાની સ્પીચ દરમિયાન અલ્પેશ કોગ્રેસ પક્ષના વિરુધ્ધમાં જ વાત કરી ભાજપ વિશે એક પણ શબ્દ બોલ્યો ન હતો. વધુમાં અલ્પેશે કહ્યું કે ૨૦૧૭માં હું સારો હતો ૨૦૧૯માં હું ખરાબ બની ગયો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વીટીવી સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે મોટા ખુલાસા કર્યા છે. અમારા સંગઠન સાથે દુશ્મન જેવો વ્યવ્હાર કરવામાં આવ્યો. મારા સમાજને સન્માન આપવું પડે. અમારી સાથે દ્રોહ થયો. વધુમાં તેમણે કહ્યું કે અમારો 2022નો રોડમેપ છે. 2022માં ગુજરાતનો નાથ અમે નક્કી કરીશું.
સભા દરમિયાન ભારે પવન ફુંકાતા મંડપ પડ્યો
આ દરમિયાન અલ્પેશ ઠાકોરની ચાલુ સભાએ મંડપ પડ્યો હતો. દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની જાહેરસભાનું આયોજન કરાયું હતુ. દરમિયાન ભારે પવન ફુંકાતા ચાલુ સભાએ જ મંડપ પડ્યો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કોંગ્રેસમાંથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપ્યુ હતું. પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર દ્વારા સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો.