કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દર્ મોદી પોતે 10 લાખનો શૂટ પહેરે છે, પરંતુ તેમને ગરીબોની મદદ કરનારી યોજના પર સમસ્યા છે. રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે આ યોજના હેઠળ દેશના સૌથી ગરીબ 5 કરોડ પરિવારોને લાભ મળશે એટલે કે 25 કરોડ લોકોને લાભ મળશે. સુરજેવાલેએ કહ્યું કે આ કોઇ ટોપ અપ યોજના નથી, આ યોજના મહિલાલક્ષી છે જેથી યોજના હેઠળ માત્ર ગૃહિણીઓના ખાતામાં 72 હજાર રૂપિયા વાર્ષિક જશે.
કોંગ્રેસ નેતા સુરજેવાલાના જણાવ્યા અનુસાર આ સ્કીમથી શહેર અને ગામડાના બંને ગરીબોને લાભ મળશે. કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું કે કોંગ્રેસ સરકારે આ પહેલા પણ ગરીબો માટે કામ કર્યું છે. હાલમાં પણ 22 ટકા જેટલી ગરીબી છે જે આ યોજના બાદ પુરી થશે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે ભાજપ આજે આ યોજનાનો વિરોધ કરી રહી છે. વડાપ્રધાન મોદી પૈસાદારોનું ઋણ માફ કરી રહ્યાં છે પરંતુ ગરીબોને ફાયદો પહોંચાડનાર યોજનાનો વિરોધ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019ને લઈને ગરીબો માટે મોટી જાહેરાત કરી હતી. ચૂંટણી વાયદા તરીકેની આ જાહેરાતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો UPA સરકાર આવશે તો દેશના 20 ટકા ગરીબ પરિવારોને દર વર્ષે 72000 રૂપિયા આપીશું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે પરિવારની આવક મહિને 12000 રૂપિયાથી ઓછી છે તેમના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા જમા કરાવવામાં આવશે.