નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવાયો છે. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે. અન્ય વિદ્યાર્થીઓના આંતરિક મુલ્યાંકન આધારે પ્રમોશન આપવામાં આવશે. ફાઈનલ યરની પરીક્ષા 31 ઓગસ્ટના રોજ યોજાશે.
છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ લેવાશે પરીક્ષા
અન્ય વિદ્યાર્થીઓના આંતરિક મુલ્યાંકન આધારે પ્રમોશન
હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાને રાખીને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા તા.14-5-2020 અને તા.10-7-2020ના રોજ નર્સિંગની પરીક્ષા અંતર્ગત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે સંદર્ભે ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે, જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગળના વર્ષમાં પ્રમોટ કરાશે.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલની માર્ગદર્શિતાના આધારે રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ન હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકન અને તેના વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગલા વર્ષમાં પ્રમોટ કરવા સૂચવેલ છે. જે મુજબ ગુજરાત રાજ્યમાં નર્સિંગના શિક્ષકો અને નર્સિંગના વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર અને સર્વેની કામગીરીઓમાં જોડાયેલા છે.
છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશેઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને રાખી ગુજરાત નર્સિંગ કાઉન્સીલની પરીક્ષા સમિતિની તા.14-7-2020ના રોજ મળેલ બેઠકમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નર્સિંગની માર્ગદર્શિકાની ચર્ચા કરી સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે કે, છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. તે સિવાયના નર્સિંગનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા સિવાય તેમના અભ્યાસક્રમના આંતરીક મુલ્યાંકનના આધારે આગળના વર્ષમાં માસ પ્રમોટ કરી યોગ્ય જણાયેલ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવશે.