શહેરમાં કોરોનાનો રોજેરોજ વિસ્ફોટ થઈ રહ્યો છે. બુધવારે અમદાવાદમાં નવા ૨૯૦ કેસ નોંધાઈને વધુ ૨૨ દર્દીનાં મોત થયાં હતાં. હવે શહેરમાં કોરોનાના કુલ ૧૩,૦૬૩ કેસ અને કુલ મૃત્યુઆંક ૯૦૮ નોંધાયો છે. તેમાં પણ અનલોક-૧ બાદ જે રીતે લોકડાઉન હળવું થયું છે તેને કારણે કોરોના સંકટ વધુ ભયાવહ બનતું જાય છે તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. આવા સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની 'દેખાડવું ઓછું અને ઢાંકવું વધારે' તેવી ઢાંકપિછોડાની નીતિથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. તેમાં પણ ખાનગી હોસ્પિટલ તરફ હેલ્થ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ કૂણી લાગણી બતાવી રહ્યા હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં એડમિટ દર્દીને લગતી કોઈ જ માહિતી પ્રસિદ્ધ નહીં કરનાર હેલ્થ વિભાગની રીતરસમથી આવા આક્ષેપને બળ પણ મળી રહ્યું છે. એ જે હોય તે, પણ આનાથી કોરોનાના સંકટ કાળમાં સામાન્ય નાગરિકો રાડ પાડી ઊઠ્યા છે.
અમદાવાદમાં બુધવારે વધુ ૨૦૫ દર્દી ડિસ્ચાર્જ કરાયાઃ શહેરમાં કુલ ૮,૮૮૯ ડિસ્ચાર્જ દર્દી પૈકી ૮૫૭ દર્દી ખાનગી હોસ્પિટલના
નરોડાની GCS હોસ્પિટલમાંથી સૌથી વધુ ૨૪૩ દર્દીને સારવાર બાદ રજા અપાઈ
હેલ્થ વિભાગ દ્વારા કઈ હોસ્પિટલમાં હાલ કેટલા દર્દી સારવાર હેઠળ છે તેની માહિતી જાહેર કરાતી ન હોઈ કોર્પોરેટરો પણ નારાજ
બુધવારે કોરોનાગ્રસ્ત દર્દીને દાખલ કરવાનો ઇનકાર કરનારી બોડીલાઇન હોસ્પિટલ સામે તંત્રે નોટિસ ફટકારી છે. મ્યુનિ. તંત્ર દ્વારા શહેરની ૪૨ ખાનગી હોસ્પિટલ સાથે એપેડેમિક એક્ટ હેઠળ કરાર કરાયા હોઈ ૫૦ ટકા બેડ કોરોના દર્દી માટે રિઝર્વ રખાયા છે. બોડીલાઇન હોસ્પિટલ કરાર હેઠળ હોવા છતાં આ હોસ્પિટલે મ્યુનિ. તંત્રે રિફર કરેલા દર્દીને પહેલાં તો દાખલ કરવાનો જ ઇનકાર કર્યો હતો અને દર્દી પાસેથી ટેસ્ટના રૂ. ૪૫૦૦ માગીને બેશરમીની તમામ હદ હટાવી દીધી હતી. બીજી તરફ દર્દીઓ માટે હેલ્થ ડેસ્ક શરૂ કરાયા બાદ પણ તેમની રઝળપાટ અટકી નથી.
હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલન જળવાતું નથી
જો કે આવા મામલે ખુદ મ્યુનિ. હેલ્થ વિભાગ જ વધુ જવાબદાર છે. કોરોના મહામારીના સમયે પણ હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલન જળવાતું નથી. આખો વિભાગ ઇન્ચાર્જ વડાના હવાલે ચાલતો હોઈ કેટલાક મહત્ત્વાકાંક્ષી ડેપ્યુટી હેલ્થ ઓફિસર શાસક પક્ષને પણ ગાંઠતા નથી. શહેરમાં બુધવારે વધુ ૨૦૫ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૮૮૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હોઈ તે પૈકી ૮૫૭ દર્દી તો એકલા ખાનગી હોસ્પિટલના છે.
નરોડાની જીસીએસ હોસ્પિટલમાંથી સૌથી વધુ ૨૪૩ દર્દીને સારવાર બાદ રજા અપાઈ છે. ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાંથી ૧૩૪, વાસણાની જીવરાજ મહેતા હોસ્પિટલમાંથી ૭૬, ગોતાની સિમ્સ હોસ્પિટલમાંથી ૮૫, નવરંગપુરાની એચસીજી હોસ્પિટલમાંથી ૬૬, બોડકદેવની સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી ૩૭, પ્રહલાદનગરની તપન હોસ્પિટલમાંથી ૩૭, કોઠિયા હોસ્પિટલમાંથી ૨૪- એમ કુલ ૨૭ ખાનગી હોસ્પિટલમાંથી રોજેરોજ કેટલા દર્દી ડિસ્ચાર્જ કરાયા તેની ઉપરછલ્લી માહિતી આપનાર હેલ્થ વિભાગ આ તમામ હોસ્પિટલમાં હાલમાં કેટલા દર્દી સારવાર હેઠળ છે તે અંગે સદંતર મૌન પાળી રહ્યો છે.
દર્દીઓની અપડેટ રોજ રોજ મુકાવી જોઈએ
ખરેખર તો દર્દીઓની રઝળપાટ તત્કાળ અટકાવવા તમામ કોવિડ કેર ખાનગી હોસ્પિટલમાં એડમિટ અને ડિસ્ચાર્જ દર્દીની માહિતી રોજેરોજ અપડેટ કરીને તંત્રની સત્તાવાર વેબસાઇટ પર તત્કાળ મૂકવી જોઈએ, તો તમામ અમદાવાદીઓ માહિતગાર થઈ શકે અને સરકારી હોસ્પિટલમાં બેડ ન હોય તો ખાનગી હોસ્પિટલને રિફર કરીને દર્દીનો ડેથરેટ પણ અટકાવી શકાય. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા કોરોના મહામારીના સમયે જે પ્રકારે લોલમલોલ ચાલી રહ્યું છે તેનાથી કોર્પોરેટરો પણ નારાજ છે. જોકે હવે આજથી સ્ટેન્ડિંગ કમિટી રાબેતા મુજબ થવાની હોઈ શાસક પક્ષ જવાબદાર અધિકારીના કાન આમળશે તેમ મ્યુનિ. ભાજપનાં વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે શહેરીજનોના હેલ્થને લગતી મ્યુનિ. હેલ્થ કમિટી પણ અઢી-ત્રણ મહિનાથી યોજાઈ નથી, જેના કારણે પણ તંત્રમાં આપસી સંકલન નજરે પડતું નથી.