ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચા રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે છેલ્લા 10 દિવસમાં વિવિધ શાળાઓમાં 19 બાળકો સંક્રમિત થયા છે.
રાજ્યમાં ઓમિક્રોનની દહેશત
10 દિવસમાં 19 બાળકો સંક્રમિત
સૌથી વધુ સુરતમાં 7 બાળકો સંક્રમિત
દુનિયાભરમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે, ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે બ્રિટનમાં તો ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની આશંકા છે ત્યારે ગુજરાતમાં બાળકોમાં કોરોના કેસ વધવાથી ટેન્શન વધ્યું છે.
જુદા જુદા શહેરમાં સામે આવ્યા કેસ
ગુજરાતમાં ઓમિક્રૉન વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાએ બાળકોને પોતાની ઝપેટમાં લેવાની શરૂઆત કરી છે. છેલ્લા 10 જ દિવસમાં 19 બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જેમા સૌથી વધારે સુરતમાં સાત કેસ સામે આવ્યા છે. રાજકોટમાં પાંચ, અમદાવાદમાં ચાર અને વડોદરામાં ત્રણ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. બાળકોમાં સતત વધતાં કોરોના કેસનાં કારણે વાલીઓમાં ફરી ચિંતા વધી ગઈ છે.
શાળામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થતા ખર્ચ સરકાર ઉઠાવે
મોટા પ્રમાણમાં બાળકોમાં કોરોના કેસ સામે આવતા વાલીઓએ હવે ફરીથી શાળાઓને બંધ કરવા માટે માંગ કરી છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરવામાં આવી છે કે કોરોના વાયરસનાં ખતરાને જોતાં ફરીથી શાળાઓને લૉક કરવામાં આવે. મોટા શહેરમાં બાળકો કોરોનાં વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે અને સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરે. સાથે સાથે એવી પણ માંગ કરવામાં આવી છે કે જેટલા બાળકોને કોરોના થયો છે તેમનો સ્વાસ્થ્યનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવે.
ઓમિક્રોન વેરિઅન્ટને લઇ કેન્દ્ર સરકારની ચેતવણી
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે લોકોને બીનજરૂરી મુસાફરી ન કરવા સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોનના કેસ ઓછા પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. છેલ્લા 20 દિવસથી કોરોનાના રોજના કેસ 10 હજારથી ઓછા છે. ઓમિક્રોનના અન્ય દેશોમાં વધતા કેસોને જોઈને સતર્ક રહેવાની આવશ્યકતા છે. દેશમાં સૌપ્રથમ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે આવ્યા હતા. ત્યારે સામુહિક સમારંભો અને મોટા પાયે નવા વર્ષની ઉજવણી ન કરવી જોઇએ. અને જે જિલ્લામાં 5 ટકાથી વધુ કેસ છે ત્યાં તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. ત્યારે નીતિ આયોગે કહ્યું કે યૂકેની જેમ ભારતમાં પણ ઓમિક્રોન ફેલાશે તો કેસ વધશે. યૂકેની જેમ ફેલાશે તો ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે. યુરોપના દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે. અને ત્યાં 80 ટકા વેક્સિનેશન છતા યુરોપમાં ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે યૂકેના 88 હજાર કેસ ભારતની વસ્તીના હિસાબે 14 લાખ કેસ હોઇ શકે છે. હાલ ભારતમાં સ્થિતિ સ્થિર છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં સંક્રમણ દર વધી રહ્યો છે. ત્યારે જરૂર પડે તો પ્રતિબંધાત્મક ઉપાયો લાગુ કરવા જોઇએ. ઓમિક્રોનને લઇ ICMRના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે ઓમિક્રોન સમગ્ર યુરોપ અને દુનિયાના મોટાભાગમાં ઝડપથી ફેલાઇ ગયો છે. ત્યારે લોકોએ 5 ટકાથી વધુ કોવિડ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓમાં પ્રતિબંધ વધારવા જોઇએ. અને 2 સપ્તાહમાં 5 ટકાથી ઓછા કેસ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ વધારવા જોઇએ. કારણે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે ત્યાં ઓમિક્રોન સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટથી આગળ નીકળી જશે. અને ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના કેસને સામાન્ય ગણાવીને નકારવામાં આવી રહ્યાં છે.