કોરોનામાં મોટાભાગના પરિવારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. પણ કેટલાક લોકો એવા પણ છે જેમની સંપતિ આ સમય દરમિયાન બમણી થઈ ગઈ હતી. દેશમાં આર્થિક અસમાનતા ભયાનક સ્તરે વધી ગઈ છે.
કોરોનાથી દેશમાં મોટાભાગના લોકોને પડ્યો ફટકો
પણ કેટલાક ધનિકોની આવકમાં થયો સતત વધારો
અબજોપતિઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ
કોરોના મહામારી દરમિયાન દેશ આખો ભયાનક મુશ્કેલીમાંથી પસાર થયો છે. કોરોનાએ દેશવાસીઓને આર્થિક સામાજિક રીતે પાયમાલ કરી દીધા હતા. દેશના 84 ટકાથી વધુ પરિવારોએ મોટાપાયે સમસ્યાનો સામનો કર્યો છે. પણ સામે અમુક કુબેરપતિઓ એવા પણ છે જેમને આ મહામારી ફળી હતી. આખી દુનિયાની સમસ્યામાં પણ તેમણે મોટા પાયે પૈસા બનાવ્યા હતા.
દેશમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈ
કોરોના મહામારી દરમિયાન દેશના અબજોપતિઓની સામાન્ય સંપત્તિ બમણીથી વધુ થઈ હતી, ત્યારે તેમની સંખ્યા 39 ટકા વધીને 102 થી 142 થઈ ગઈ હતી. દેશના 10 સૌથી ધનિક લોકોની વાત કરીએ તો તેમની પાસે એટલા પૈસા છે કે તેઓ 25 વર્ષ સુધી દેશના તમામ બાળકોની શાળા અને ઉચ્ચ શિક્ષણ દત્તક લઈ ખર્ચ ઉઠાવી શકે છે.
8 સૌથી ધનિક ભારતીયો પાસે લગભગ 49.27 લાખ કરોડની સંપત્તિ
કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષમાં દેશના 84 ટકા પરિવારોએ જીવન અને આજીવિકા ગુમાવવાને કારણે તેમની આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. દેશના 98 સૌથી ધનિક ભારતીયો પાસે લગભગ 49.27 લાખ કરોડની સંપત્તિ છે. આ રકમ નીચલા સ્તરના 55. 5 કરોડ લોકોની કુલ સંપત્તિ જેટલી રકમ છે.
ઈનક્વોલિટી કિલ્સ
એનજીઓ ઓક્સફેમ ઈન્ડિયાના રિપોર્ટ 'ઈનક્વોલિટી કિલ્સ'માં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 100 સૌથી ધનિક લોકોની સામૂહિક સંપત્તિ વર્ષ 2021માં 57.3 લાખ કરોડની ટોચે પહોંચી ગઈ છે. ઓક્સફેમે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઓનલાઈન એજન્ડા સમિટના પહેલા દિવસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. દેશના 142 અબજોપતિઓ પાસે સામૂહિક રીતે 719 બિલિયન ડોલર્સ (રૂ. 53 લાખ કરોડથી વધુ)ની સંપત્તિ છે.
98 અબજપતિઓ પરનો એક ટકા વધારાનો વેલ્થ ટેક્સ આયુષ્માન ભારતનો ખર્ચ ઉપાડી શકે
સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતના 98 અબજોપતિઓ પર વેલ્થ ટેક્સમાં એક ટકાનો વધારો કરવામાં આવે તો દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમનો ખર્ચ સાત વર્ષથી વધુ સમય માટે નિકળી જશે.
જ્યારે દેશના 10 સૌથી અમીર લોકો પર એક ટકાનો વધારાનો ટેક્સ લગાવવામાં આવે તો 17.7 લાખ વધારાના ઓક્સિજન સિલિન્ડર આપી શકાય છે. કોરોનાનાં બીજા વેવ દરમિયાન, જ્યારે દેશમાં ઓક્સિજન સિલિન્ડરની ભારે અછત હતી, ત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબોની મફત સારવાર કરવામાં આવી હતી.
4.6 કરોડથી વધુ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા
રિપોર્ટ અનુસાર 2020માં 4.6 કરોડથી વધુ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર વૈશ્વિક સ્તરે નવા ગરીબો માટે આ સંખ્યા લગભગ અડધી છે. ભારતમાં, ગરીબો અને વંચિતોની સરખામણીમાં ધનિકોને પ્રોત્સાહન આપતી અર્થવ્યવસ્થાના ભયંકર આર્થિક પરિણામો આવ્યા છે.
અસમાનતાના કડવા સત્યને ઉજાગર કરતો અહેવાલ
ઓક્સફેમના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે રિપોર્ટ અસમાનતાની કઠોર વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે. આ અસમાનતા દરરોજ 21,000 લોકોને મૃત્યુ તરફ ધકેલી દે છે, અથવા દર ચાર સેકન્ડે એક વ્યક્તિને મોતના મુખમાં ધકેલે છે.
મહિલાઓની કમાણી પર ખરાબ અસર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીએ લિંગ સમાનતાને 99 વર્ષથી 135 વર્ષ સુધી પાછળ ધકેલી દીધી છે. વર્ષ 2020માં મહિલાઓની સામૂહિક કમાણીમાં 59.11 લાખ કરોડનું નુકસાન થયું હતું. 2019ની સરખામણીમાં હવે 1.3 કરોડ ઓછી મહિલાઓ નોકરી કરે છે.