સ્ટોક એક્સચેન્જ જેટ એરવેઝના શેરોનાં ટ્રેડિંગ પર ર૮ જુનથી પ્રતિબંધ મૂકી દેશે. જેટ એરવેઝના શેેરોમાં વધુ પડતી અસ્થિરતા રોકવા માટે સ્ટોક એક્સચેન્જ હવે તેના શેરોનું ટ્રેડિંગ બંધ કરી દેશે. કેશ કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝને એપ્રિલમાં પોતાનું ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી અનેે ત્યારબાદ જેટ એરવેઝ નવા ખરીદનાર અને રોકાણકારની શોધમાં છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જે એક પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે, કંપનીને રોલિંગ સેગમેન્ટથી ટ્રેડ ફોર ટ્રેડ સેગમેન્ટમાં શિફ્ટ કરવામાં આવશે. ટ્રેડ ફોર ટ્રેડ સેગમેન્ટ હેઠળ શેરોનું ટ્રેડિંગ રોકી દેવામાં આવે છે. આ નિર્ણય સ્ટોક એકસચેન્જીસ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે અને આમ હવે જેટ એરવેઝના શેેરોના ટ્રેડિંગ પર ર૮ જુનથી પ્રતિબંધ મૂકાઇ જશે.
પરિપત્રમાં જણાવ્યાનુસાર જેટ એરવેઝ સ્ટોક એક્સચેન્જને પોતાના અંગે ચાલી રહેલી વિવિધ અફવાનો જવાબ આપવામાં નિષ્ફળ રહી છે. જેટ એરવેઝે જે જવાબ આપીને ખુલાસા કર્યા છે તે સ્પષ્ટ અને સંતોષજનક નથી અને તેેથી જેટ એરવેઝના શેરોના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાની સ્ટોક એકસચેન્જને લેવાની ફરજ પડી છે.
આ ઉપરાંત જેટ એરવેઝ ર૦૧૯માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટેના નાણાકીય પરિણામો પર વિચારણા કરવામાં તેમજ તેને મંજૂરી આપવાની સ્થિતિમાં નથી. જેટ એરવેઝનો શેર બુધવારે નેશનલ સ્ટોક એકસચેન્જ પર બે ટકાના ઘટાડા સાથે રૂ.૧૧૦.૧૦ પર બંધ રહ્યો હતો.
જ્યારે બોમ્બે સ્ટોક એકસચેન્જ પર જેટ એરવેઝનો શેર ૧.૩૮ ટકાના ઘટાડા સાથે રૂ.૧૧૦.૪૦ની સપાટી પર બંધ રહ્યો છે. આમ જેટ એરવેઝનું ભાવિ અનિશ્ચિત હોય અને હજુ સુધી તેને ટેકઓવર કરવા માટે કોઇ કંપનીએ નક્કર પ્રસ્તાવ રજૂ કર્યો નહીં હોવાથી જેટ એરવેઝનની મુશ્કેલી વધી શકે છે.