અંકૂશરેખાએ ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામ પાછળ NSA અજિત ડોભાલનું ભેજું કામ કરી ગયું છે.
ભારત-પાકના ડીજીએમઓની વાતચીત બાદ એલઓસી પર શાંતિની આશા
એનએસએ અજિત ડોભાલની આગેવાનીમાં પાકિસ્તાન સાથે ચાલી રહી છે ગુપ્ત વાતચીત
આગામી દિવસોમાં બીજી પણ મહત્વની જાહેરાત થઈ શકે છે
રિપોર્ટ અનુસાર NSA અજિત ડોભાલ પરદા પાછળ રહીને પાકિસ્તાનની સાથે ગુપ્ત વાચચીત ચલાવી રહ્યાં હતા. ડોભાલ અને તેમના પાકિસ્તાની સમકક્ષ મોઈદ યુસુફ ઘણા મહિનાઓથી સંપર્કમાં હતા. બન્ને દેશના એનએસએની કોઈ દેશમા મુલાકાત પણ થઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.
ડોભાલ અને યુસુફ સતત સંપર્કમાં હતા.
ડોભાલ અને યુસુફ સતત સંપર્કમાં હતા. તેમની વચ્ચે ક્યારેક સીધી રીતે તો ક્યારેક મધ્યસ્થી દ્વારા વાતચીત થતી રહેતી હતી. તેમની વચ્ચેની આ વાતચીતને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી જયશંકર સહિત મુઠ્ઠીભર લોકોને પાકિસ્તાન સાથેની ગુપ્ત વાતચીતની ખબર હતી. મોઈદ યુસુફે પણ પુષ્ટિ કરી હતી કે પરદા પાછળ રહીને બન્ને દેશ કામ કરતા રહ્યાં હતા.
પેંગોગ સરોવર કિનારેથી ભારત-ચીનની સેનાને હટાવવા પાછળ પણ ડોભાલનું ભેજુ
સૂત્રોના જણાવ્યાનુસાર તાજેતરમાં લદ્દાખના પેંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ કિનારેથી ભારત અને ચીનના લશ્કરને હટાવવા પાછળ પણ અજિત ડોભાલનું ભેજું કામ કરી ગયું હતું. અજિત ડોભાલે લશ્કરી વડા મુકુદ નરવાણે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાથે ગુપ્ત મિટિંગ કરી હતી.
હોટલાઈન પર થઈ વાતચીત
લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને બંને દેશની સેનાઓ પાછળ હટી રહી છે. LAC પર શાંતિ માટે થઈ રહેલા પ્રયાસોની વચ્ચે LOC પર પણ હલચલ વધી છે. ભારત અને ચીન વચ્ચે શાંતિની શરૂઆત બાદ પાકિસ્તાને પણ પોતાનું વલણ બદલ્યું છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ્સ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO) વચ્ચે હોટલાઇન પર વાત થઈ છે.
શાંતિ સ્થાપના માટે બંને દેશ દ્વારા સંયુક્ત નિવેદન પણ આપવામાં આવ્યું
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશના DGMOએ નિયંત્રણ રેખાની સમીક્ષા કરી છે તથા વાતચીત સારા માહોલમાં થઈ છે. બંને દેશો વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે કે બંને દેશ શાંતિભંગ થાય તેવા મુદ્દા સામે એક્શન લેશે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવવા માટે વાતચીતનું પગલું ભરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને તે બાદથી જ મહિનાઓ સુધી બંને દેશ વચ્ચે વિવાદ યથાવત રહ્યો. જોકે હવે છેલ્લા ઘણા દિવસમાં આ વિવાદ પર સમાધાન માટે બંને દેશ આગળ આવ્યા છે અને સેનાઓ હવે ધીમે ધીમે પાછળ હટી રહી છે. ભારત અને ચીન વચ્ચે થયેલી આ શરૂઆતની વચ્ચે હવે પાકિસ્તાન સાથે પણ શાંતિ માટેના પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે.