નવી દિલ્હી: મેઘાલય હાઈકોર્ટના જજે એક મામલાની સુનાવણી દરમિયાન એવી કોમેન્ટ કરી જેને કેસ સાથે કોઈ લેવાદેવા ન હતું. જજે કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ અને પીએમ નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીએ એ નક્કી કરવું જોઈએ કે દેશ ક્યાંક ઈસ્લામિક રાષ્ટ્ર ન બની જાય.
મહત્વનું છે કે ઉચ્ચ ન્યાયાલયના જસ્ટીસો માટે બનેલી આચારસંહિતામાં રાજકીય નિવેદનની મંજૂરી નથી હોતી. જોકે મેઘાલય હાઈકોર્ટના જસ્ટીસ એસ.આર. સેને સરકારને આ પ્રકારની અપીલ કરી છે. જેમાં પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર જેવા પાડોશી દેશમાં રહેતા બિનમુસ્લિમ સમુદાયને ભારતમાં આવીને વસવાની મંજૂરી મળવી જોઈએ.
ન્યાયમૂર્તિ સેને કહ્યું કે હું સ્પષ્ટ કરવા માગુ છું કે ભારતને ઈસ્લામિક દેશ બનાવવાના પ્રયાસ ન થવો જોઈએ. જો ઈસ્લામિક દેશ થઈ ગયો તો ભારત અને વિશ્વમાં કયામત આવી જશે. મને વિશ્વાસ છે કે મોદી સરકાર આ મામલાને ગંભીરતાથી લેશે અને મમતા બેનર્જી રાષ્ટ્રહિતમાં PM મોદીને સમર્થન કરશે. આ સાથે જજે કહ્યું કે દેશમાં વસતા શાંતિપ્રિય મુસ્લિમોના વિરોધમાં હું નથી. જોકે જસ્ટીસની આ કોમેન્ટ બાદ કાયદાના નિષ્ણાતોમાં હલચલ મચી ગઈ છે.