જે લોકોએ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. હવે આ સ્કીમમાં રોકાણ તેમના માટે વધુ આકર્ષક બનશે. આવતા મહિને આ માટે મોટી જાહેરાત થઈ શકે છે.
NPSમાં રોકાણ કર્યું હોય તો ખાસ વાંચજો
આવતા મહિને થઈ શકે છે મોટી જાહેરાત
જાણો તમને શું થશે ફાયદો
જો તમે તમારા સુરક્ષિત ભવિષ્ય માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની કોઈ યોજના લીધી છે અથવા લેવા જઈ રહ્યા છો, તો હવે તમને ફાયદો થવાનો છે. હકીકતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)હવે NPSમાં ગેરેન્ટેડ પેન્શન પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહી છે. માનવામાં આવે છે કે આ યોજના 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. તેનાથી દેશના કરોડો લોકોને ફાયદો થશે અને નેશનલ પેન્શન માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે.
30 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે નવી પેન્શન સ્કીમ
PFRDAના અધ્યક્ષ સુપ્રતિમ બંદ્યોપાધ્યાયે આ અંગે વિસ્તારથી માહિતી આપી હતી. શુક્રવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “NPSમાં મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ પર હવે કામ ચાલી રહ્યું છે. એટલે કે રોકાણકારોને કોઈપણ સંજોગોમાં આકર્ષક રકમ મળી જ જશે. એવી શક્યતા છે કે અમે તેને 30 સપ્ટેમ્બરથી શરૂ કરી શકીએ છીએ.
રોકાણકારોને સુરક્ષિત રિટર્ન આપવાનો પ્રયાસ
બંદ્યોપાધ્યાયે કહ્યું, “છેલ્લા 13 વર્ષોમાં નેશનલ પેન્શન સિસ્ટમને મજબૂત કરવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમે વાર્ષિક 10.27 ટકાના દરે વાર્ષિત ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે. અમે હંમેશા રોકાણકારોને ફુગાવાને જોતા સુરક્ષિત વળતર આપ્યું છે."
વધતી મોંઘવારીને જોતા સુરક્ષિત વળતર
રૂપિયામાં ઘટાડો અને વધતી જતી મોંઘવારી અંગે PFRDAના અધ્યક્ષે કહ્યું કે ઓથોરિટી આ તમામ બાબતોથી સંપૂર્ણપણે વાકેફ છે. અમે NPSની રચના એવી રીતે કરી છે કે રોકાણકારો કોઈપણ કિંમતે સુરક્ષિત વળતર મેળવી શકે.
35 લાખ કરોડનું હાલનું પેન્શન ફંડ
તેમણે કહ્યું કે જો દેશમાં હાલના પેન્શન ફંડની વાત કરીએ તો તે 35 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 22 ટકા એટલે કે કુલ રૂ. 7.72 લાખ કરોડ એનપીએસ પાસે છે. ત્યાં જ EPFO 40 ટકા શેરનું સંચાલન કરે છે.