શાહબાઝ રોજની જેમ પ્રેક્ટિસ પછી પોતાના રૂમમાં આવ્યો અને ફોન સાઇલેન્ટ કરીને નમાઝ પઢવા જતો રહ્યો. નમાઝ પછી નદીમે બેડ પર સૂતા સૂતા ફોન ચેક કર્યો અને તેમાં કેટલાક મિસ્ડ કોલ અને અનરીડ મેસેજ હતા, તેમાં જ એક મેસેજમાં તેનું ટીમ ઇન્ડિયામાં સિલેક્શન થઇ ગયુ હતુ.
આ મેસેજ વાંચ્યા બાદ આ લેફ્ટ આર્મ સ્પિનર પાસે માત્ર 24 કલાકનો સમય હતો અને તેણે કોલકાતાથી રાંચી પહોંચાવાનું હતુ. તેણે વર્ષોનું સપનું પૂરું થતા જોયું અને કોલકાતાથી રોડના રસ્તા રાંચી પહોંચ્યો. એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા નદીમે જણાવ્યુ કે, ટેસ્ટ ડેબ્યૂ માટે લાંબા સમયથી રાહ જોયા પછી ધીરજનું ફળ મળ્યુ. આ ડેબ્યૂ ટેસ્ટમાં તેનું પરફૉર્મેન્સ પણ શાનદાર રહ્યુ હતુ. ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ઇનિંગ્સ અને 202 રનથી જીત લીધી હતી.
મેચ ખતમ થયા બાદ નદીમના પ્રદર્શનની પ્રશંસા થઈ રહી હતી. મેચ પછી નદીમને મળવા ડ્રેસિંગ રૂમમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યો. નદીમે જણાવ્યુ કે, ''હું જેવો ધોની ભાઇને મળ્યો, મેં તરત જ પૂછ્યુ કે કેવું રમ્યો ? તેમણે કહ્યું કે, ‘શાહબાઝ હવે તુ પરિપક્વ દેખાઈ રહ્યો છે. હું તારી બૉલિગં જોઇ રહ્યો હતો. આ બઘુ જ તારા ડોમેસ્ટિક ક્રિકેટના અનુભવનું પરિણામ છે. બસ હવે કંઈ વધારે પ્રયોગ કરવાનો પ્રયાસ ન કરતો અને આમ જ રમતો રહેશે જેવી રીતે તું અત્યાર સુધી રમતો આવ્યો છે. તારી યાત્રા હવે શરૂ થઇ છે. ''
આ સિવાય નદીમે ધોની વિશે વાત કરતા કહ્યુ કે, ''તે મહાન ખેલાડીઓમાં શામેલ છે તેમ છતાં તે વિનમ્ર છે.''