ગાંધીનગરઃ ગુજરાતની જનતાને આગામી દિવસોમાં વીજ કટોકટીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિ સર્જાઈ છે કોલસાની ઘટ થતાં અને ગુજરાત સરકારના નેતાઓમાં દૂરંદેશીનો અભાવ હોવાથી. ગુજરાત સરકારે ગત ઓક્ટોબરથી પોતાની પાસે રહેલો વધારાનો કોલસો છત્તીસગઢને વેચ્યો. તેની સામે 500 મેગાવોટ વીજળી આપવાનો સોદો કર્યો હતો.
સોદા મુજબ યુનિટદીઠ 2.81ના ભાવે છત્તીસગઢ ગુજરાતને વીજ પૂરવઠો આપવા બંધાયેલું છે. જોકે આ ભાવે વીજળી આપવાનો છત્તીસગઢનો કોઈ ઈરાદો ન હોવાથી માત્ર 50થી 60 મેગાવોટ વીજળી જ આપી રહ્યું છે. આ તો થઈ છત્તીસગઢ સરકારને કોલસો આપવાની વાત જોકે અસલ ઘાટ તો ત્યાં સર્જાયો છે કે ગુજરાત સરકારને હાલ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી 3 હજારથી 3500 મેગાવોટ વીજળી ખરીદવી પડે છે.
આ સ્થિતિ સર્જાવાના બીજા પણ કેટલાક કારણો છે. તેમાં સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપનીઓને કમાણી કરવાની તક આપી. પ્રજાને ઉંચા ભાવે વીજળી પધરાવવાનો માર્ગ સરળ કરી આપ્યો. ભૂલ સરકાર કરે અને તેના પરિણામો જનતા ભોગવે. કોલસાની ઘટ સર્જાતા તેની સીદી અસર થર્મલ પાવર સ્ટેશન પર પડી.
ગુજરાત સ્ટેટ ઈલેકિટ્રસિટી કોર્પોરેશન લિમીટેડને ઉકાઈ ખાતાને યુનિટ નંબર 6માં વિજળીનું ઉત્પાદન બંધ કરી દેવાની ફરજ પડી. 31મીએ ગુજરાતના પોતાના વીજ ઉત્પાદન પ્લાનટમાંથી 4 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હતું. જે 7 જૂન સુધી ઘટીને 2400 મેગાવોટ થયું છે.
આજે સરકારને 4.93 યુનિટદીઠ ભાવે ગુજરાતને વીજળીની ખરીદી કરવી પડી રહી છે. ત્યારે પ્રજા પર આવેલા અંધારપટ સંકટ માટે જવાબદાર સરકાર આ મામલે શું પગલા લે છે.