મની લોન્ડરિંગ અને બ્લેક મની પર લગામ કસવા સરકાર હવે સોના-ચાંદીની મોટી ખરીદી માટે પાન કાર્ડના બદલે આધાર નંબર ફરજિયાત કરી શકે છે. આમ હવે સરકાર નવો નિયમ લાવી રહી છે કે જેના હેઠળ લોકો આધાર કાર્ડ વગર સોના-ચાંદીની ખરીદી કરી શકશે નહીં.
સોના-ચાંદીની ખરીદી કરતી વખતે આ નિયમ બનશે અમલી
ઓટીપી વેરિફિકેશન ફરજિયાત
આ સંદર્ભમાં નાણાં મંત્રાલયમાં એક પ્રસ્તાવ તૈયાર થઇ રહ્યો છે. આ માટે નાણાં મંત્રાલય કેટલાય વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે, જેમાં આધાર કાર્ડ અથવા અન્ય આઇડી પ્રૂફને પણ સોના-ચાંદીની ખરીદી સાથે લિંક કરવામાં આવશે.
ઓટીપી વેરિફિકેશન ફરજિયાત
છેલ્લા કેટલાક મહિનામાં જ્વેલરીના કેટલાય સોદામાં પાન નંબરના ખોટા ઉપયોગ બાદ આ પ્રકારના સોદા માટે આધાર નંબરને ઓટીપી વેરિફિકેશન સાથે ફરજિયાત કરવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં તે અંગેની જાહેરાત થઇ શકે છે.
સોના-ચાંદીની ખરીદી માટે આધાર નંબર ફરજિયાત કરાશે
દિલ્હી બુલિયન બજાર એસોસિયેશનના વડા વિમલ ગોયલે જણાવ્યું છે કે જો સરકાર સોના-ચાંદીની ખરીદી માટે આધાર નંબર ફરજિયાત કરશે તો સામાન્ય લોકોને મુશ્કેલી પડશે. તેમનું કહેવું છે કે ભારત અનેક પરંપરા ધરાવતો દેશ છે અને ખાસ કરીને પુત્રીના લગ્નમાં સામાન્યતઃ રૂ. બે લાખ જેટલી જ્વેલરી આપવામાં આવતી હોય છે. જો આ નિયમ બનશે તો સામાન્ય લોકોને પણ આધાર નંબર આપવો પડશે.
સરકાર નોન જ્વેલરી ટ્રેડિંગ માટે આ નિયમ લાગુ કરી શકે
ગોયલે જણાવ્યું કે સરકાર નોન જ્વેલરી ટ્રેડિંગ માટે આ નિયમ લાગુ કરી શકે છે, પરંતુ સરકાર કોઇ પણ રીતે સોના-ચાંદીની ખરીદી માટે આધાર ફરજિયાત કરવા માટે મક્કમ છે.