સાવજના દુશ્મનો હવે ચેતી જજો ગેરકાયદેસર લાયન શો કરતા તત્વો સાવધાન થઇ જાવ કારણ કે હવે વન વિભાગ સજ્જ થઇ ગયું છે અને સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે અને સાવજોની હિલચાલ ઉપર નજર રાખવા માટે નેશનલ પાર્કમાં કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
સમગ્ર એશિયામાં એક માત્ર એશિયાટિક લાયનનું આશ્રય સ્થાન એટલે સાસણગીર. આ જગ્યા જેટલી એશિયાટિક લાયનના નિવાસસ્થાન માટે પ્રખ્યાત છે તેટલી જ તે અવારનવાર વિવાદોથી પણ પ્રખ્યાત છે. ક્યારેક સિંહોને રંજાડતી પ્રવૃતિથી સાસણગીર ચર્ચાને ચકડોળે ચડે છે તો ક્યારેક સિંહોના આકસ્મિક અવસાનથી તે ચર્ચામાં આવે છે. વાત ગેરકાયદેસર લાયન શોની હોય કે વાત સિંહનો જન્મદર વધ્યાના વધામણાની હોય સાસણ હમેંશા ચર્ચાતું નામ રહ્યું છે પરંતુ આ જે આપણે સાસણમાં સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કરાયેલા એક પ્રયાસની વાત કરવી છે. કેમ કે એક નવતર અભિગમ રૂપે નેશનલ પાર્ક માં 45 કરતા પણ વધારે કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
વનતંત્ર દ્રારા જંગલમાં ગોઠવવામાં આવેલા આ કેમેરા દિવસ અને રાત્રીના સમયના ફોટો લઇ શકે તેવી ટેકનોલોજી ધરાવે છે. વન વિભાગની દેખરખ હેઠળ આ કેમેરા કામ કરી રહ્યા છે. જેમાં 16GBનું મેમરી કાર્ડ રાખવામાં આવ્યું છે. આ સેન્સર કેમેરા પ્રાણીઓની તમામ અવરજવરના ફોટો પાડી સંગ્રહ કરી રાખે છે અને દર 6 દિવસ બાદ આ ફોટોને કેમેરામાંથી લઇ સિંહો સહિતના તમામ પ્રાણીઓની હિલચાલ ઉપર નજર રાખવું શક્ય બન્યું છે. આ કેમેરા ટ્રેપ લગાવવાનો ઉદેશ્ય હાલ તો માત્ર રિસર્ચનો જ છે. જેના માટે નેશલ પાર્ક અને આજુબાજુના વિસ્તારમાં એક ગ્રીડ બનાવીને આ કેમેરા ટ્રેપ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેનો ઉદેશ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણીઓની હિલચાલ પર દેખરેખ રાખવાનો છે.
હાલતો આ કેમરા ગોઠવવા પાછળનો ઉદેશ્ય વનમાં વિચરણ કરતાં પ્રાણીઓની હિલચાલ પર નજર રાખીને તેમની જરૂરિયતોને પારખવાનો છે પરંતુ આ કેમેરા સાવજ જેવા અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણ માટે ઉપયોગી બની શકે છે. કેમ કે કેમરાટ્રેપને કારણે જંગલમાં શિકાર અર્થે ઘુસતા લોકોની ગતિવિધિ પણ ટ્રેપ થઈ શકશે. આ કેમેરાને કારણે જંગલમાં ચાલતા ગેરકાયદેસર લાયન શો અને જંગલ સુરક્ષાતંત્રની બેદરકારી પણ ટ્રેપ થઈ શકે છે. જોકે હાલ તો ડીસીએફ આ કેમેરાનો ઉદેશ્ય માત્ર રિસર્ચ પુરતો જણાવી રહ્યા છે.
માત્ર કેમેરા જ નહી સાસણ વનતંત્ર વન્યપ્રાણીઓના રેસ્ક્યુ માટે પણ સજ્જ બન્યું છે. સાસણ ની રેસ્ક્યુ ટીમને વધુ સગવડ મળે અને તેઓ વધુ પ્રાણીઓના જીવ બચાવી શકે તેવા આશ્યથી લાયન એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ માત્ર સિંહ જ નહી પરંતુ દરેક વન્ય પ્રાણીઓ માટે રાખવામાં આવી છે. આમ હવે સિંહ સહિતના પ્રાણીઓને પણ સારી સારવાર મળી શકશે. વન વિભાગ દ્વારા ટેકનોલોજીની મદદથી સાવજના દુશ્મનોને પકડી પાડવા આ કેમેરા ખુબ જ મદદરૂપ સાબિત થશે.