પથ્થરમારાની આવી ઘટનાઓ રોકવા માટે રેલવેએ એક નવો વિકલ્પ શોધી કાઢયો છે. હવે ટ્રેનોમાં એવા કાચ લગાવવામાં આવશે કે તેના પર પથ્થરમારાે કરવા છતાં કાચ તૂટશે નહીં. આ માટે રેલવેેના નવા કોચમાં ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દોડતી ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ આજકાલ સામાન્ય બની ગઇ છે. તાજેતરમાં શરૂ થયેલી દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત પર અનેક વાર પથ્થરમારો થઇ ચૂકયો છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં પથ્થરબાજો દ્વારા ટ્રેનને નિશાન બનાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. પથ્થરમારાની આવી ઘટનાઓ રોકવા માટે રેલવેએ એક નવો વિકલ્પ શોધી કાઢયો છે. હવે ટ્રેનોમાં એવા કાચ લગાવવામાં આવશે કે તેના પર પથ્થરમારાે કરવા છતાં કાચ તૂટશે નહીં. આ માટે રેલવેેના નવા કોચમાં ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ચેન્નઇ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેકટરીમાં બનતા કોચમાં વિનાયલ કોટેડ શીટ અને રેસિનનું કોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કોટિંગ એટલું મજબૂત અને પારદર્શક હશે કે તેના પર પથ્થર લાગવા છતાં તે તૂટશે નહીં અને સરળતાથી તેની આરપાર જોઇ શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રેલવે અનેકવાર પથ્થરમારાની ઘટનાઓ રોકવા માટે પ્રયોગ કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી તેમાં કોઇ ખાસ સફળતા મળી નથી. પથ્થર લાગવાની ટ્રેનની બારીના કાચ તો તૂટી જ જાય છે, સાથે સાથે પ્રવાસીઓ ઘાયલ થવાનો પણ ખતરો રહે છે. પ્રવાસીઓ અને રેલવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે રેલવે પ્રશાસને મુખ્ય ટ્રેનોમાં સુરક્ષા કવચ મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. વિનાયલ કોટેડ શીટના કાચમાં વધુ મજબૂતી હોય છે.
તેના પર પથ્થર ફેંકવાથી પથ્થર અંદર જવાને બદલે તેની સાથે ટકરાઇને પાછો ફેંકાશે. તેને બનાવવામાં ખાસ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેનની અંદર બેઠેલી વ્યકિત અંદરથી વિનાયલ કોટેડ શીટ દ્વારા બહારની પ્રવૃત્તિઓ જોઇ શકશે, પરંતુ બહારવાળાઓને ડબ્બાની અંદરનું દૃશ્ય દેખાશે નહીં. જો આ પ્રયોગ સફળ થશે તો બીજી કોચ ફેકટરીઓમાં પણ બનતા રેલવેના નવા કોચમાં આ પ્રકારના કાચ લગાવવામાં આવશે.