અમદાવાદ પાસપોર્ટ કચેરી દ્વારા સામાન્ય નાગરિકોને પણ માઇક્રો ચિપ આધારિત પાસપોર્ટ આપવાનું શરૂ કરાશે. પહેલા તબક્કામાં ડિપ્લોમેટિક પાસપોર્ટ હોલ્ડરને બાયોમેટ્રિક ઈ પાસપોર્ટ આપવામાં આવ્યા છે. હવે આ ઈ પાસપોર્ટ ગુજરાતમાં પણ નાગરિકોને મળશે. નવા પાસપોર્ટની ડિઝાઇન સ્થાનિક સ્તરે ભારતમાં તૈયાર કરવામાં આવી છે.
ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ અને આઈઆઈટી કાનપુર ખાતે ઈ-પાસપોર્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ઈ-પાસપોર્ટમાં ડિજિટલ ઇમેજની સાથે પાસપોર્ટ હોલ્ડરની વિગતોનો ચિપમાં સમાવેશ કરાશે.
નવો પાસપોર્ટ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ આધારિત છે જેનું પ્રોટોટાઇપ પરીક્ષણ અમેરિકાની સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં કરવામાં આવ્યું છે. નવા પાસપોર્ટના બેક કવરમાં નાની સિલિકોન ચિપ છે અને આ ચિપ્સમાં ૬૪ કેબીની મેમરી સ્પેસ છે જેમાં પાસપોર્ટ હોલ્ડરના ફોટા ફિંગરપ્રિન્ટ,અને અન્ય વિગતોનો સમાવેશ થાય છે.
આ ચિપમાં પાસપોર્ટ હોલ્ડરની ૩૦ વિદેશની યાત્રાની જાણકારી સ્ટોર કરવાની ક્ષમતા છે. એરપોર્ટ પર પાસપોર્ટ સ્કેન કરવાથી તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકે છે. ભારતની બહાર જન્મ લેનારા અરજદારોને ભારતીય પાસપોર્ટ આપવામાં આવતો નથી.
જોકે તેનાં માતા-પિતામાંથી કોઇ એક તેના જન્મ સમયે ભારતના નાગરિક રહ્યા હોય અને તો ભારત સરકાર દ્વારા નાગરિકતા મળી હોય તો અહીંનો પાસપોર્ટ બની શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરના નાગરિકો માટે પાસપોર્ટ બનાવડાવવાની પ્રક્રિયા સરળ છે.
જો જરૂરી દસ્તાવેજોને બરાબર રીતે રજૂ કર્યા હોય અને તમામ ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થઇ ચૂક્યા હોય તો પાસપોર્ટ મળતા ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય લાગે છે.