ગુજરાત સરકારે પર્યટનને વધારવા માટેની દિશામાં નવું પગલું ભર્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાતે પહોંચનારા લોકોને હવે અહીં વધારે સમય પસાર કરવા મળશે. અહીં આવનારા લોકો હવે નર્મદામાં રીવર રાફ્ટિંગની મજા માણી શકશે. સીએમ રૂપાણીએ 17 ઓગસ્ટ 2019ના રોજ નર્મદા ખાતે લીલી ઝંડી બતાવીને રીવર રાફ્ટિંગની શરૂઆત કરી છે. સાથે જ સીએમ રૂપાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં WIFIની સેવાનો પ્રારંભ કર્યો છે.
ગુજરાતના પ્રવાસીઓ રીવર રાફ્ટિંગનો રોમાંચ માણવા હવે મનાલી જવાની જરૂર નથી. કારણ કે હવે ઘર આગણે એટલે કેવડિયા ખાતે નર્મદા નદીમાં પણ River Rafting થશે. ટુરિઝમને વેગ આપવા નર્મદા નદીમાં રીવર રાફ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. નર્મદામાં 1 હજાર રૂપિયાની ટિકીટમાં 5 કિલોમીટરના રૂટમાં લોકો રીવર રાફ્ટિંગની મજા માણી શકશે.
રીવર રાફ્ટિંગ પર્વતીય વિસ્તારો માટે જ છે આ ધારણાને ખોટી પૂરવાર કરતાં નર્મદામાં રીવર રાફ્ટિંગ શરૂ કરવામાં આવશે. દિવાળીની રજાઓમાં બહારગામ જતાં લોકો અહીં આવશે. સીએમનું માનવું છે કે આવનારા સમયમાં નર્મદા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રીવર રાફ્ટિંગની આ યોજનાને ઉત્તરાખંડના એક્સપર્ટની મદદથી મૂર્ત રૂપ આપવામાં આવ્યું. પર્વતીય રાજ્ય ઉત્તરાખંડને રાફ્ટિંગ માટે ઓળખવામાં આવે છે. અહીં અનેક જગ્યાઓએ રાફ્ટિંગ થાય છે.
5 કિમી.ના વિસ્તારમાં કરી શકાશે રાફ્ટિંગ
રીવર રાફ્ટિંગની શરૂઆત નર્મદા નદીના કિનારે વસેલા ખલવાની ગામથી થઈ. રાફ્ટિંગ માટે પાંચ કિમી,નો વિસ્તાર નક્કી કરાયો. ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધીના પ્રાકૃતિક સૌંદર્યની મજા સાથે પ્રવાસીઓ રાફ્ટિંગની મજા માણી શકશે. ઉલ્લેખનીય છે કે જે સ્થાને રીવર રાફ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે તે સ્થાને હંમેશા 600 ક્યૂસેક પાણીની સુવિધા રહે છે. આ કારણે લોકો રેપિડ અને એક્સાઈટિંગ રિવર રાફ્ટિંગની મજા માણી શકશે.
પ્રકૃતિનું મનોરમ્ય દ્રશ્ય
નદીની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. નદીની ખળખળ વહેતી ધારા અને સુંદર ગાઢ જંગલો મળીને સુરમ્ય વાતાવરણ રચે છે. તેનાથી પ્રવાસીઓ આકર્ષિત થશે તેવી આશા છે.
ટુરિઝમના વિકાસ માટે સફારી પાર્ક પ્રોજેક્ટ
જ્યારે નર્મદાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું વધુ એક પ્રવાસન સ્થળ વિકસાવવાના ભાગરૂપે અહીં એક સુંદર સફારી પાર્ક આકાર પામશે. જ્યાં 1800 જેટલાં પ્રાણી અને પક્ષીઓને લાવવામાં આવશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંકલનમાં રહીને વિવિધ પશુઓ ખાતે રહેઠાણ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ સફારી પાર્કમાં દેશ-વિદેશના જંગલોમાં જોવા મળતાં પ્રાણીઓ અહિંયા નિહાળવા મળશે. અહીં એક અલગ પ્રકારનો સફારી પાર્ક બનાવવાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
નર્મદાની કેવડિયા કોલોનીનું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ છે. તેની લંબાઈ 128 મીટરની છે. ઓક્ટોબર 31 2018ના રોજ પીએમ મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું. તે સમયથી તે લોકોમાં લોકપ્રિય બન્યું છે. નર્મદા કિનારે આવેલા આ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે અને ખુશ થાય છે. સ્ટેચ્યૂની મુલાકાતમાં લગભગ 5-6 કલાકનો સમય લાગી જાય છે. હાલમાં જ CM રૂપાણીએ પરિસરમાં ફ્રી WIFIની સેવાનો પ્રારંભ કર્યો છે. આ સુવિધાઓ શરૂ થતા હવે પ્રવાસીઓમાં વધારો થાય તેવી શક્યતા છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં પુખ્ત વ્યક્તિ માટે 120 રૂ. ફી રાખવામાં આવી છે તો બાળકો માટે 60 રૂ. ફી નક્કી કરવામાં આવી છે. અહીં તમે વેલી ઓફ ફ્લાવર્સ, મેમોરિયલ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરીની મજા લઈ શકો છો.
કેવી રીતે જશો?
નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે. અહીંથી તમે કેબ બુક કરાવીને કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની મદદથી કેવડિયા કોલોની જઈ શકો છો.
નજીકનું શહેર રાજપીપળા છે. ત્યાંથી 25 કિમીના અંતરે સરદાર સરોવર ડેમ આવેલો છે.
નજીકનું એરપોર્ટ વડોદરા છે. જે 90 કીમીના અંતરે છે. અહીં આવીને તમે એરપોર્ટથી કેબની મદદથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એટલે કે કેવડિયા કોલોની જઈ શકો છો.