અત્યાર સુધી તમે ભગવાનનાં મંદિરો અને તેની સાથે જોડાયેલ પરંપરાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ આજે અમે તમને કેટલાંક એવાં મંદિરો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ભગવાન નહીં પણ પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે.
અહીંયા થાય છે કૂતરાની કબરની પૂજા:
હિંદુ ધર્મમાં કૂતરાંને ભૈરવનું વાહન માની તેની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત શનિ દોષથી બચવા માટે કૂતરાને રોટલી ખવડાવવામાં આવે છે. પરંતુ ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં કૂતરાનું મંદિર છે અને લોકો અહીં જઈને શ્રદ્ધા અને ભક્તિથી દર્શન પણ કરે છે. આ મંદિર બુલંદશહેરથી લગભગ 15 કિલોમિટર દૂર ઔધ્યોગિક ક્ષેત્ર સિકંદરાબાદમાં છે. મંદિર 100 વર્ષ જૂનું ગણાય છે. અહીં કૂતરાની કબરની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે કૂતરાના પગમાં કાળો દોરો બાંધવાથી દરેક ઇચ્છા પૂરી થાય છે.
અહીંયા બિલાડીને માનવામાં આવે છે દેવીનું સ્વરૂપ:
અત્યાર સુધી બિલાડી સાથે જોડાયેલ શુકન-અપશુક વિશે સાંભળ્યું હશે પરંતુ કર્ણાટકમાં એક એવું મંદિર છે જ્યાં બિલાડીની પૂજા કરવામાં આવે છે. આ મંદિર કર્ણાટકના માંડ્યા જિલ્લાના ગામમાં આવ્યું છે. આ ગામનું નામ કન્નડના બેક્કૂ શબ્દ પરથી પડ્યુ છે જેનો અર્થ થાય છે બિલાડી. આ ગામમાં બિલાડીઓની પૂજા કરવાની પરંપરા લગભગ 1000 વર્ષ જૂની છે. માન્યતા છે કે તેમની દેવી મનગમ્માએ બિલાડીના રૂપમાં ગામમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ ખરાબ શક્તિઓથી ગામનું રક્ષણ કરે છે.
આ મંદિરમાં છે હજારો ઉંદરો:
રાજસ્થાનના બિકાનેરમાં કરણી માતાનું મંદિર છે. મંદિરમાં લગભગ 20000 જેટલા ઉંદરો છે. જ્યાં માતાને પ્રસાદ ચઢાવવાની સાથે ઉંદરોને પ્રસાદ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે કરણી દેવી સાક્ષાત માતા જગદંબાનો અવતાર હતી. જે જગ્યાએ તેમનું મંદિર છે ત્યાં અત્યારથી લગભગ સાડા છસો વર્ષ પહેલાં એક ગુફામાં રહીને મા તેમના ઈષ્ટ દેવતાની પૂજા-અર્ચના કરતાં હતાં. આ ગુફા આજે પણ મંદિર પરિસરમાં છે.
અહીં થાય છે ચામાચિડિયાની પૂજા:
બિહારના વૈશાલી જિલ્લાના રાજાપાકર તાલુકાના સરસઈ ગામમાં લોકો ચામાચિડિયાને સમૃદ્ધિનું પ્રતિક માને છે. અહીં એવી માન્યતા છે કે જ્યાં ચામાચિડિયું રહે છે ત્યાં ક્યારેય ધનની અછત રહેતી નથી. શુકન સંબંધિત દરેક કામમાં ગામના લોકો ચામાચિડિયાની પૂજા કરવાનું ભૂલતા નથી.