ગુજરાત સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે તો બીજી બાજુ રાજકોટ અને સુરતમાં તંત્રએ 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ પર પ્રતિબંધ લગાવ્યા છે.
9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ
રાજ્ય સરકારના જાહેરનામાથી વિપરીત જાહેરનામું
રાજકોટમાં ગણેશોત્સવમાં પ્રતિમાની લંબાઈને લઇને મોટું વિઘ્ન આવ્યું છે. કારણ કે, શહેરમાં 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ગણેશોત્સવમાં 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ ન લગાવવા સામે આયોજકોમાં નારાજગી જોવા મળી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારના જાહેરનામાથી વિપરીત આ જાહેરનામું બહાર પાડવામાં આવતા આયોજકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
2 મહિના પહેલા જ મૂર્તિઓ બનાવવા માટે ઓર્ડર આપી દેવાયા: જિમી અડવાણી
મૂર્તિમાં ઉંચાઈ ફિક્સ કરતું જાહેરનામું પ્રસિદ્ધ થતા આયોજકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ મામલે સૌરાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશ મહોત્સવના પ્રમુખ જિમી અડવાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, '2 મહિના પહેલા જ મૂર્તિઓ બનાવવા માટે ઓર્ડર આપ્યા છે.'
થોડા દિવસ અગાઉ સુરતમાં પણ આવું જ જાહેરનામું બહાર પડાયું હતું
બીજી બાજુ તમને જણાવી દઇએ કે, સુરતમાં પણ થોડાક દિવસો અગાઉ ગણેશ મહોત્સવ મામલે પોલીસ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સુરતમાં પણ 9 ફૂટથી ઊંચી ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવવા પર પ્રતિબંધ મૂકાયો હતો. એ સિવાય POPની 5 ફૂટથી મોટી ગણેશ પ્રતિમા બનાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો હતો. મૂર્તિ વિસર્જનના દિવસે સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. POPની મૂર્તિ કૃત્રિમ ઓવરા પર જ વિસર્જિત કરી શકાશે તેમ જણાવ્યું હતું.
રાજ્ય સરકારે આ વર્ષે મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે
ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવને લઇ રાજ્ય સરકારે ભગવાનના ભક્તોને મોટી ભેટ આપી હતી. જેમાં રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. આ સાથે સાર્વજનિક સ્થળો પર ગણેશની સ્થાપના કરવાની પરવાનગી પણ આપી દીધી છે. રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. જો કે, મૂર્તિ બનાવવા અને વિસર્જન કરવા સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સાથે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પણ પાલન કરવાનું રહેશે. મહત્વનું છે કે, ગત વર્ષે કોરોનાની સ્થિતિને કારણે ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.