દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા હૈદરાબાદ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા માટે દાખલ કરેલી અરજી પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો. બીજી તરફ, તેલંગાણા સરકારે પણ આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.
હૈદરાબાદ રેપ મર્ડર કેસ
પીડિતાની ઓળખ જાહેર કરવા અંગે કેન્દ્રને મળી નોટિસ
તેલંગાણા સરકારે આ કેસમાં આપ્યો નવો આદેશ
16 ડિસેમ્બર સુધી નોટિસનો જવાબ આપવાનો રહેશે
મુખ્ય ન્યાયાધીશ ડી.એન. પટેલ અને જજ સી હરિશંકરની ખંડપીઠે કેન્દ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને દિલ્હીની સરકારની સાથે કેટલીક મીડિયા સંસ્થાઓ અને સોશ્યિલ નેટવર્કિંગ મંચને પણ નોટિસ ફટકારી છે. આ દરેકે 16 ડિસેમ્બર સુધી નોટિસનો જવાબ આપવાનો છે. આ અરજીમાં મીડિયા સંસ્થાઓ અને એ વ્યક્તિઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનો અનરોધ કર્યો છે જેઓએ પીડિતાની ઓળખ છતી કરી છે. કોઈ દુષ્કર્મ પીડિતાની ઓળખ છતી કરવી કાનૂની અપરાધ છે. આ કેસમાં હવે 16 ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવશે.
કલમ હેઠળ સજાની છે આ જોગવાઈ
ભારતીય દંડ સંહિતાની કલમ 228 એ, દુષ્કર્મ સહિત અનેક અપરાધોને પીડિતાની ઓળખને છતી કરવા માટે દંડનીય ગણાવે છે જેના માટે બે વર્ષની જેલ અથવા તો દંડની સજા મળી શકે છે. આ અરજી દિલ્હીના વકીલ યશદીપ ચહલે નોંધાવી છે. તેમાં કહેવાયું છે કે તેનો હેતુ આઈપીસીની કલમ અને ઉચ્ચતમ ન્યાયાલયની નજરનું ઉલ્લંધન કરતાં દુષ્કર્મ પીડિતાની ઓળખ છતી કરવાના નિયમ પર પ્રતિબંધ લગાવવાનો છે. તેઓએ કહ્યું કે વ્યક્તિઓ અને મીડિયા સંસ્થાઓ દ્વારા હૈદરાબાદ દુષ્કર્મ કેસમાં પીડિતા અને ચાર આરોપીની ઓળખ છતી કરવાની ઘટનાઓ પર અનેક ઓનલાઈન અને ઓફલાઈન પોર્ટલ પર પ્રકાશિત, પ્રસારિત કરીને કલમ 228 એનું ઉલ્લંઘન કરાયું છે.
હૈદરાબાદ કાંડની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે
તેલંગાણા સરકારે મહિલા પશુ ચિકિત્સકના સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુનાવણીને માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. સરકારે મહેબૂબનગર જિલ્લમાં પ્રથમ વખત જિલ્લા અને સત્ર ન્યાયધીશની કોર્ટને વિશેષ કોર્ટના નામે જાહેર કરી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે રવિવારે આ કેસની સુનાવણી જલ્દી થઈ શકે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.