લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોની દુર્દશાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે આ કેસની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. જેમાં સ્થળાંતરીત મજૂરો માટે લેવામાં આવતા પગલાં અને પ્રયાસો વિશે માહિતી માંગવામાં આવી હતી. કોર્ટ હવે આ કેસમાં આગામી ગુરુવારે સુનાવણી હાથ ધરશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને નોટિસ
મજૂરોની વેદનાને ધ્યાનમાં રાખી જવાબ આપવા કહ્યુ
કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારને કહ્યુ મફત સેવા આપો
ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે જણાવ્યું હતું કે પરપ્રાંતિય મજૂરો હજી પણ રસ્તાઓ, હાઈવે, રેલ્વે સ્ટેશન અને રાજ્યની સરહદો પર બેઠા છે. તેમના માટે પરિવહનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી અથવા તેમના માટે કોઈ યોગ્ય રહેવાની વ્યવસ્થા અને ખાવાની વ્યવસ્થા પણ નથી.
ખંડપીઠે કહ્યું, "મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કામદારો હજી પગે ચાલી, સાયકલ અથવા પરિવહનના અન્ય માધ્યમથી રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે. લોકડાઉનમાં સમાજના આ વર્ગને સૌથી વધુ મદદની જરૂર હોય છે. કેન્દ્ર અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આ મજૂરોની કાળજી લઈ મદદ કરવી જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પરપ્રાંતિય મજૂરો માટે પરિવહન અને ભોજન માટેની મફત વ્યવસ્થા કરવી જોઈએ. "
સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અમારું માનવું છે કે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અસરકારક પ્રયાસો જરૂરી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું છે. ખંડપીઠે સુનાવણી મહત્વની હોવાનું કહીને ગુરુવારે આ કેસની સુનવણી કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ આ મામલે મદદ કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં પરપ્રાંતિય મજૂરોની મુશ્કેલીઓ અને દુર્ઘટના અંગે અનેક અરજીઓ કરવામાં આવી હતી. મોટાભાગના કેસોમાં સુપ્રીમ કોર્ટે સરકારના પ્રયત્નોથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જો કે પરપ્રાંતિય મજૂરોને લગતી કેટલીક અરજીઓ સુપ્રીમ કોર્ટની બીજી બેંચ પાસે પેન્ડિંગ છે.