અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મકાન બનાવાયાં છે. ઈડબ્લૂએસ ક્વાટર્સ તરીકે ઓળખાતાં આ મકાન મેળવનાર મૂળ માલિક તેને સાત વર્ષ સુધી અન્ય કોઈને ભાડે આપી શકતા નથી. જોકે મકાન મેળવતી વખતે કરાતી કાયદાની આ જોગવાઈનું ઉલ્લંઘન થતું જોઈ મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસનના કડક આદેશના પગલે આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા સામે પૂર્વ ઝોનમાં તંત્રે આકરી કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત કુલ 336 મૂળ માલિકોને નોટિસ ફટકારાઈ હોવાની વિગત જાણવા મળી છે.
સર્વેના આધારે કુલ 336 મૂળ માલિકો શોધી કઢાયા
પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મૂળ માલિકો દ્વારા મકાન ભાડે આપવાની પ્રવૃત્તિ માઝા મૂકતાં તંત્રે આવા મૂળ માલિકો શોધી કાઢવા ખાસ સર્વે કર્યો હતો. આ સર્વેના આધારે કુલ 336 મૂળ માલિકો શોધી કઢાયા છે, જેઓ પોતાનું મકાન અન્યને ભાડે આપીને ગેરકાયદે વધારાની આવક રળી રહ્યા છે. જે તે મકાનનો કબજો મૂળ માલિકને સોંપતાં અગાઉ તંત્ર દ્વારા સાત વર્ષ સુધી તે અન્યને ભાડે નહીં આપવાની લેખિતમાં બાંયધરી લેવાતી હોવા છતાં આવા લેભાગુ મૂળ માલિકોએ તેની અવગણના કરી હતી એટલે કે દસ્તાવેજની શરત નં. 6નું ઉલ્લંઘન કરાયું છે.
તંત્ર એકપક્ષીય રીતે મકાનનો કબજો પણ લઈ લેશે
જેના કારણે મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના આદેશના પગલે આ તમામ 336 મૂળ માલિકોને તંત્રે અંતિમ નોટિસ ફટકારી છે અને તા. 30 મેએ પુરાવા સાથે હાજર રહેવાની તાકીદ કરાઈ છે. જો કસૂરવાર મકાન માલિક પૂરતાં અને સંતોષકારક કારણો દર્શાવતો લેખિત જવાબ અને તે અંગેના યોગ્ય પુરાવા સમયસર નહીં આપે તો મકાન માલિકે કોઈ રજૂઆત કરવાની નથી તેમ માનીને તંત્ર એકપક્ષીય રીતે મકાનનો કબજો પણ લઈ લેશે.
નિકોલ-વસ્ત્રાલના તાપી, નર્મદા, લાલબહાદુર શાસ્ત્રી એપાર્ટમેન્ટ સામે પગલાં
તંત્ર દ્વારા નિકોલ-વસ્ત્રાલના તાપી, નર્મદા, લાલબહાદુર શાસ્ત્રી એપાર્ટમેન્ટના મૂળ માલિકોને અગાઉ તા. 6 મે, 2023એ કારણદર્શક નોટિસ ફટકારી હતી. હવે તા. 30 મેની અંતિમ નોટિસ ફટકારાતાં મૂળ માલિકો દોડતા થઈ ગયા છે.