બિન સચિવાલય પરીક્ષાના ઉમેદવારોના વડોદરા કેન્દ્રમાં 1 અને રાજકોટ કેન્દ્રમાં 2 પરીક્ષા સ્થળોના ફક્ત સરનામામાં ફેરફાર કરવામા આવ્યો છે.
બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા કેન્દ્ર અંગે સુધારો કર્યો જાહેર
વડોદરા અને રાજકોટ ખાતે પરીક્ષા કેન્દ્રના નામ સરનામામાં જાહેર કર્યો સુધારો
રાજ્યભરમાં આવતી કાલે બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાનાર છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, આવતી કાલે યોજાનારી બિન સચિવાલયની પરીક્ષામાં 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.જેને લઈને સરકારે આ તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTVથી સજજ કરી દેવાયા છે. આ સાથે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની સાથે નિરીક્ષકો પણ મોબાઈલ નહી રાખી શકે.
સુધારેલ સરનામા વગરના કોલ લેટર નીકળી શકશે
સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી,બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની “ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટંટ " વર્ગ -૩ સંવર્ગની સીધી ભરતી માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આવતીકાલ તા.૨૪.૦૪.૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમિયાન લેવાનાર છે. જેમાં વડોદરાના પરીક્ષા કેન્દ્રના સરનામામાં ફેરફાર થયો છે.આ કેન્દ્રના ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રના સુધારેલ સરનામું ધ્યાને લેવાનું રહેશે .કોલ લેટરમાં બરોડા હાઇસ્કુલ ઓ.એન.જી.સી ટાઉનશીપ મકરપુરા રોડ, વડોદરા સરનામું દર્શાવેલ છે.પરંતુ હવે તેના બદલે બરોડા હાઇસ્કુલ, એક્સપ્રેસ હોટેલની સામે,નુતન ભારત સોસાયટી,અલકાપુરી, વડોદરા ખાતે સુધારા થયેલ સરનામા મુજબ પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક નં.1500996785 થી 1500997084 સુધીના ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપવાની રહેશે.સુધારેલ સરનામા વગરના કોલ લેટર પણ માન્ય ગણાશે.એમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.
રાજકોટમાં પણ પરીક્ષા કેન્દ્ર માટે સુધારેલા સરનામાંની વિગત
ઉમેદવારો માટે 1 હજાર એકસ્ટ્રા બસો દોડવાશે
બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના આયોજનના ભાગરૂપે એસ.ટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિદ્યા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગૃપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે. આ સાથે રાણીપ બસ પોર્ટ,ગીતા મંદિર કૃષ્ણનગર રૂટ પર એકસ્ટ્રા બસો મુકાશે.
પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર પ્રતિબંધ
ગૌણ સેવા પસંદગી મંડળે કરેલી જાહેરાત મુજબ પરીક્ષા કેન્દ્રોમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પરીક્ષા કેન્દ્રમાં ચાલુ કે બંધ હાલતમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો કે સંદેશા વ્યવહારના કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઉમેદવારોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઉમેદવારોએ આ પ્રકારના સાધનોને પરીક્ષા કેન્દ્રની બહાર પોતાની જવાબદારીએ રાખવાના રહેશે.