ભાજપ નેતા સુશીલ મોદીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવતા હજુ 8 થી 10 વર્ષનો સમય વીતી જશે.
રાજ્યસભામાં ભાજપ સાંસદ સુશીલ મોદીનું નિવેદન
રાજ્યોને 2 લાખ કરોડનું નુકશાન થશે
કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર 5 લાખ કરોડનો ટેક્સ વસૂલે છે.
એક બાજુ નાણા મંત્રી નિર્મલા સીતારામણ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની દરખાસ્ત પર ચર્ચા કરવાનું જણાવી રહ્યાં છે તો બીજી બાજુ તેમની જ પાર્ટીના નેતા સુશીલ મોદીએ જણાવ્યું કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવી દેવાશે તો રાજ્યોને 2 લાખ કરોડનું નુકશાન થશે.
રાજ્યસભામાં ફાઈનાન્સ બીલ 2021 પરની ચર્ચા દરમિયાન એક સવાલનો જવાબ આપતા સુશીલ મોદીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર 5 લાખ કરોડનો ટેક્સ વસૂલે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોને 2 લાખથી 2.5 લાખ કરોડની ખોટ થશે
મોદીએ કહ્યું કે જો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ લાવવામાં આવે તો, જીએસટીના સૌથી વધારેમાં વધારે 28 ટકાના રેટની તેની પર ટેક્સ લાગશે. હાલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર 60 ટકા ટેક્સ વસૂલાય છે. આને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 2 લાખથી 2.5 લાખ કરોડની ખોટ થાય છે. જો સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર 28 ટકા ટેક્સ વસૂલે તો એક લીટર પેટ્રોલ પર ફક્ત 14 રુપિયાનો ટેક્સ લાગે છે જ્યારે હાલમાં 60 ટકાનો ટેક્સ લાગે છે.
ટેક્સ જ નહીં લેવાય તો વીજળી-પાણીના પૈસા ક્યાંથી આવશે ? સુશીલ મોદી
સુશીલ મોદીએ કહ્યું કે કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાઈ રહેલો ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય છે પરંતુ હું કહું છું કે સરકારની એવી કોઈ અલગ તિજોરી નથી કે જ્યાંથી વીજળી પૂરી પાડવા માટે તથા તમામ પરિવારો સુધી પાણી પહોંચતું કરવાના પૈસા આવતા હોય. જીએસટી તંત્ર પર પ્રતિક્રિયા આપતા મોદીએ કહ્યું કે કેટલાક લોકો જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવી રહ્યાં છે. જીએસટી કાઉન્સિલની મિટિંગમાં કોઈ પણ રાજ્યે જીએસટીનો વિરોધ કર્યો નથી. તમે આ વાતની ખાતરી કરવા જીએસટી કાઉન્સિલની બેઠકની કાર્યવાહી જોઈ શકો છો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની લીડરશીપ જીએસટીનો અમલ કરવાની તાકાત ધરાવે છે.
નિર્મલા સીતારામણ જીએસટી પર ચર્ચા કરવાનું કહી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારામણે લોકસભામાં જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકના એજન્ડામાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની કોઈ દરખાસ્ત લવાય તો તેઓ તેની પર ચર્ચા કરવા તૈયાર છે. જો કાઉન્સિલમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર સહમતિ સધાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ એકઝાટકે 47 રુપિયા લીટર પર આવી શકે છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર અને રાજ્યો માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત હોવાને કારણે તેને જીએસટી હેઠળ લાવવામાં આવે તે અશક્ય છે.