UPના વિનોદ સાથી અને હિમાચલના લક્ષ્મીકાંત શર્મા પણ દાવેદારી કરશે
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના અધિકૃત પ્રતિનિધિઓ ઉમેદવારી પત્રો એકત્રિત કરવા માટે કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના કાર્યાલય પર પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પોતાના વિનંતી પત્રમાં ઉમેદવારી પત્રોના પાંચ સેટ આપવાની પણ માંગ કરી છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ શશિ થરૂર અને અશોક ગેહલોતના નામો મોખરે ચાલી રહ્યા છે, જેમની ચૂંટણી લડવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઘણા વર્ષો પછી એવું થઈ રહ્યું છે કે, ગાંધી પરિવાર આ ચૂંટણીમાં ઊભો નથી રહ્યો.
કોંગ્રેસ પ્રમુખ પદ માટે અત્યાર સુધીમાં બે નામો સામે આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના અન્ય બે નેતાઓ પણ ઉમેદવારી પત્રો લેવા આવ્યા છે અને બંનેનો દાવો છે કે, તેમની પાસે 10 દરખાસ્ત છે. તેમાંથી પ્રથમ ઉત્તર પ્રદેશના સંભલના વિનોદ સાથી છે અને બીજા હિમાચલના મંડીના લક્ષ્મીકાંત શર્મા છે, જોકે તેમને હજુ સુધી તેમના ઉમેદવારી પત્રો આપવામાં આવ્યા નથી. વાસ્તવમાં કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે 22મી સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થશે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. એટલે કે જે પણ પ્રમુખ પદ માટે ચૂંટણી લડવા માંગે છે, તે ઉમેદવારી નોંધાવી શકે છે.
નોંધનિય છે કે, પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીની આગેવાની હેઠળની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી મતદાનની દેખરેખ રાખશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે 19 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ જાહેર થશે. જ્યારે બે ઉમેદવારો મેદાનમાં હશે ત્યારે જ મતદાન થશે. જો એક જ ઉમેદવાર હશે તો તે બિનહરીફ ચૂંટાશે.