જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એ ખતમ કરવાના વિરોધમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની અરજીમાં રાહુલ ગાંધીના ઉલ્લેખ કરવા પર બુધવારે કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર નિશાન સાધ્યું. જોકે, પાકિસ્તાને પોતાના પત્રમાં રાહુલ ગાંધી ઉપરાંત ભાજપના હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીનો ઉલ્લેખ પણ કર્યો છે.
પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મજારીએ ટ્વિટર પર 8 પેજનો પત્ર શેયર કર્યો છે. જેમા રાહુલ ગાંધીના હવાલાથી લખવામાં આવ્યું છે કે જમ્મૂ કાશ્મીરમાં 'લોકો મરી રહ્યા છે'. યૂએનને સંબોધિત પત્રમાં લખવામાં આવ્યું છે,'હિંસાની ઘટનાઓને કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી જેવા મુખ્યધારાઓના નેતાઓએ કબૂલ કરી છે. આ નિર્ણયને કારણે ત્યાં ખૂબ જ ખોટું થઇ રહ્યું છે.' માત્ર રાહુલ ગાંધી એકલા ભારતીય નેતા નથી, જેમનો ઉલ્લેખ યૂએનને સંબોધિત કરતા લખવામાં આવેલા પત્રમાં કરવામાં આવ્યો છે. આ પત્રમાં હરિયાણાના ભાજપના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપના અન્ય એક નેતા ધારાસભ્ય વિક્રમ સૈનીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 10 ઓગસ્ટ 2019ના દિવસે મનોહર લાલ ખટ્ટરે કાશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરવા અંગે એક નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી ખટ્ટરે ફતેહાબાદમાં મહર્ષિ ભાગીરથ જયંતી સમારોના એક રાજ્ય સ્તરીય સમારોહને સંબોધિત કરતા કથિત રૂપે કહ્યું હતું, 'પહેલા ઓપી ધનકડ કહેતા હતા કે આપણે બિહારની યુવતીઓને હરિયાણામાં લગ્ન કરીને લાવીશું. હવે કેટલાક લોકો કહી રહ્યા છે કે આપણે કાશ્મીરથી યુવતીઓ લાવીશું. પરંતુ મજાક એક બાજુ. આપણા સમાજમાં સેક્સ રેશિયો યોગ્ય થયા બાદ જ આપણે સંતુલન બનાવી શકીએ છીએ.'
જ્યારે ભાજપ ધારાસભ્ય વિક્રમ સૈનીએ પણ આ પ્રકારની ટિપ્પ્ણી કરી હતી. એમણે કહ્યું હતું કે દેશમાં મુસલમાનોએ અનુચ્છેદ 370ના ખતમ થવા પર ખુશ થવું જોઇએ. કેમકે તે કોઇપણ જાતનો ડર રાખ્યા વિના 'ગોરી' કાશ્મીરી યુવતીઓ સાથે લગ્ન કરી શકે છે. આ નિવેદનને લઇને પાકિસ્તાને પોતાના પત્રમાં વિક્રમ સૈનીનો ઉલ્લેખ કર્યો છે.
જમ્મૂ કાશ્મીર પર રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસ પર હુમલો કરતા ભાજપે બુધવારે કહ્યું કે કોંગ્રેસ નેતા અને તેમની પાર્ટીને કાશ્મીરમાં હિંસાનો આરોપ લગાવવાના શરમજનક અને બેજવાબદાર નિવેદન માટે દેશની માફી માંગવી જોઇએ. જેનો પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચ પર ઉપયોગ કરી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીના નિવેદનને પડોશી દેશ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે અને તે મનથી નહીં પરંતુ પરિસ્થિતિઓના કારણે અને જનતાના દબાણમાં પોતાના નિવેદનથી છેડો ફાડી રહ્યા છે.