ક્રિકેટની જેમ આપણી રાજનીતિ પણ ‘સંભાવનાઓ’ અને ‘અનિશ્ચિતતાઓ’નો જ ખેલ બની ગઈ છે. અહીં દોસ્તી કે દુશ્મની કશું જ કાયમી નથી હોતું. રોજેરોજ પોતાના સ્વાર્થ અને ફાયદા પ્રમાણે સંબંધો બદલાતા રહે છે. જનતાની સુખાકારી અને સેવા માટે ભેખ ધરીને રાજનીતિમાં આવતા સેવાભાવી નેતાઓ હવે જાણે ઈતિહાસ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.
એક સમયે વિરોધી વિચારધારા ધરાવતા પક્ષ સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનથી દૂર ભાગતા રાજનેતાઓ હવે ફક્ત સત્તા હાંસલ કરવા માટે કોઈ પણ કક્ષાએ જવા તૈયાર થાય ત્યારે દેશની જનતાને તેણે આપેલા મત બદલ દિલથી અફસોસ થતો હોય છે. મહારાષ્ટ્રમાં આજે રાજનીતિની આ જ અવદશા જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારે ઓચિંતો મોટો ભૂકંપ આવ્યો છે અને રાજનીતિના માહેર ખેલાડી મોદી-અમિત શાહની જોડીએ અજિત પવાર સાથે મળી માસ્ટરસ્ટ્રોક મારીને શિવસેના-કોંગ્રેસના હાથમાંથી સત્તાનો પ્યાલો ઝૂંટવીને બધાંને ચોંકાવી દીધા છે. દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના સમર્થનથી સરકાર રચીને મુખ્યપ્રધાનપદના શપથ લઈ લીધા છે અને એનસીપીના અજિત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવ્યા છે.
શિવસેના કે કોંગ્રેસ મોદી-શાહની આ વ્યૂહરચનાને સમજી શકવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરે જેનું સપનું દિવસ-રાત જોતા હતા તે મુખ્યપ્રધાનપદની ખુરશી અને મહારાષ્ટ્રની સત્તા બંને રીતસર આંચકી લીધાં છે. આ રાજરમત સમજવામાં કોંગ્રેસ-શિવસેના જેવા અનુભવી પક્ષો અને મોટા-મોટા રાજકીય વિશ્લેષકો પણ થાપ ખાઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં લોકશાહીનો જે રીતે ફજેતો થયો છે તેનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજકીય પક્ષોનાં અંગત હિત અને સ્વાર્થ રાજ્યની જનતાના હિતથી સર્વોપરી થઈ ચૂક્યાં છે. હવે તો આ નેતાઓ ચૂંટણીમાં મળેલા જનાદેશને પણ પળવારમાં મજાક બનાવી દેતાં અચકાતા નથી. મહારાષ્ટ્રમાં આ પહેલી વાર નથી બન્યું, જ્યારે ચૂંટણીમાં ગઠબંધનને મળેલા જનાદેશનો આ રીતે ખુલ્લેઆમ અનાદર કરીને અપમાન કરવામાં આવ્યું હોય.
રાજકીય સમીકરણો જોતાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ અયોગ્ય પણ નહોતી, કેમ કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી), ભાજપ અને શિવસેના જે એજન્ડા અને વિચારધારા સાથે લોકોની વચ્ચે ગયાં હતાં, હવે તેનું પાલન કરવાનો ખુદ તેમણે જ ઈનકાર કરી દીધો છે. ભાજપ અને શિવસેના રાજ્યની જનતાને એવો વિશ્વાસ અપાવવામાં તો સફળ રહ્યાં હતાં કે તેમની મહાયુતિના નામનું આ ગઠબંધન સ્થિર સરકાર આપવામાં સક્ષમ છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ જે સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું તેનાથી સાબિત થાય છે કે રાજકીય પક્ષો 'જનાદેશ'ને સત્તાલાલસા અને સ્વાર્થ સામે સાવ મામૂલી ગણે છે. ચૂંટણી પહેલાં કરવામાં આવેલા પક્ષોના ગઠબંધનની પવિત્રતા પણ ફક્ત ત્યાં સુધી જ જળવાઈ રહે છે, જ્યાં સુધી તેમાં સામેલ થયેલા પક્ષોનાં અંગત હિતો તેમની ઇચ્છા અનુસાર સધાતાં રહે.
ભારતના સંસદીય લોકતંત્રમાં ગઠબંધનની રાજનીતિનો ઇતિહાસ હવે પચાસ વર્ષથી પણ જૂનો થઈ ચૂક્યો છે અને તેમાં તમામ પ્રકારનાં ઉદાહરણ જોવા મળે છે. સામાન્ય રીતે ચૂંટણી બાદ કરવામાં આવેલા ગઠબંધનમાં જ આપણને વિવિધતા જોવા મળે છે, જેમાં કોઈક પ્રકારના સિદ્ધાંત-નિયમ કે વિચારસરણીની મજબૂરી અડચણરૂપ બનતી નથી. મોટા ભાગે આવાં કજોડાં સમાન ગઠબંધન ટકાવી રાખવામાં તેના નેતાઓનાં 'રાજકીય કદ' ચુંબકીય ભૂમિકા ભજવતાં હોય છે. એ પણ એક હકીકત છે કે ગઠબંધનની રાજનીતિમાં નેતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમના રાજકીય પક્ષની છબી ઉપર હાવી થઈ જતી હોય છે.
ઈતિહાસ પર એક નજર કરીએ તો ભારતના કોઈ પણ રાજ્યમાં સૌથી પહેલી ગઠબંધન સરકાર ઓડિશામાં વર્ષ ૧૯પ૬માં બની હતી, જ્યારે આ રાજ્યના તત્કાલીન કોંગ્રેસી મુખ્યપ્રધાન સ્વ. નવકૃષ્ણ ચૌધરી દૈનિક ધોરણે થતા પક્ષપલટાની સમસ્યાથી ગભરાઈ ગયા હતા. એક સાચા ગાંધીવાદી હોવાના કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પોતાનો સામાન માથા પર મૂકીને મુખ્યપ્રધાન નિવાસસ્થાનથી કટકના ગાંધીઆશ્રમ સુધી પગપાળા યાત્રા કરી ત્યાં જ પડાવ નાખ્યો હતો. એ સમયે વડા પ્રધાન જવાહરલાલે નહેરુએ ઓડિશાની રાજનીતિના 'ચાણક્ય' ગણાતા ડો. હરેકૃષ્ણ મહેતાબને મુંબઈ સંદેશ મોકલીને કટક જવા કહ્યું હતું અને કોંગ્રેસ વિધાનસભા પક્ષની સંભાળ લેવાની તાકીદ કરી હતી.
મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી ભાજપ અને શિવસેનાની સરકાર હતી, પરંતુ તેનું નેતૃત્વ દેવેન્દ્ર ફડણવીસના હાથમાં હતું, જેઓ ખુદ રાજનીતિમાં ઘણા નવા હતા, જેના કારણે તેઓ શિવસેનાના કુટિલ રાજકીય દાવપેચને સમજવામાં સફળ થઈ શક્યા નહીં, જેની પાછળથી ખૂબ ટીકા પણ થઈ હતી. આ જ કારણ છે કે ચૂંટણી પછી તરત જ ધારાસભ્યની સંખ્યાના ગણિતને ધ્યાનમાં રાખીને શિવસેનાએ અઢી વર્ષ મુખ્યપ્રધાનપદ પોતાની પાસે રાખવાની શરત મૂકી. આ શરત કેન્દ્રથી લઈ રાજ્યમાં સત્તારૂઢ ભાજપનું મનોબળ તોડવા માટે જ હતી.•