લોકસભા ચૂંટણી - 2019ને લઇને બની રહેલા વિપક્ષના મહાગઠબંધનને ફરી એકવાર ગ્રહણ લાગ્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિનના નિવેદન પર પોતાની સહમતિ દર્શાવી નથી.
અખિલેશ યાદવે કહ્યું કે એવું જરૂરી નથી કે સ્ટાલિનના અભિપ્રાય પર ગઠબંધનના દરેક સભ્ય એકમત હોય. ઉલ્લેખનીય છે કે સ્ટાલિને 2019ની લોકસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
સ્ટાલિનના આ નિવેદન બાદ ગઠબંધનના કેટલાક પક્ષોનો વિરોધ સામે આવ્યો હતો. જો કે હવે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સ્ટાલિનના નિવેદન સાથે પોતે સહમત નહી હોવાનું જણાવી 2019 લોકસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે.
અખિલેશ યાદવે કહ્યું કે જનતા અત્યારે ભાજપથી નારાજ છે જેના કારણે કોંગ્રેસને ત્રણ રાજ્યોમાં સફળતા મળી છે. જો કે 2019 લોકસભાની ચૂંટણીને લઇને મહાગઠબંધનનું માળખુ તૈયાર કરવું જોઇએ.
અખિલેશ યાદવે જણાવ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર મમતા બેનર્જી અને શરદ પવારે ગઠબંધન બનાવવા બધા નેતાઓને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે આ પ્રયત્નમાં કોઇ પોતાનો અભિપ્રાય રજૂ કરે તો એ જરૂરી નથી કે ગઠબંધનના બધા પક્ષો તેની સાથે સહમતિ દર્શાવે. 2019 લોકસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ ગઠબંધનના બધા નેતા દ્વારા નક્કી કરવામાં આવે તે યોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને 2019 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામનો વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જો કે એક એવુ પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે આ કારણોસર મધ્યપ્રદેશ રાજસ્થાનના શપથગ્રહણ કાર્યક્રમમાં માયાવતી અખિલેશ યાદવ અને મમતા બેનર્જી ઉપસ્થિત રહ્યાં નહોત. જો કે ત્યારબાદ અખિલેશ યાદવનું આ નિવેદન મહાગઠબંધનને એક ઝટકા સમાન છે.