રાજકીય વિશ્લેષકોના મતે સહકારી આલમના દિગ્ગજ નેતા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને કારણે ભાજપને કેટલાક વિસ્તારોના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે
બીજા તબક્કાનું ચૂંટણીમાં 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં મતદાન
ઉત્તર ગુજરાત ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, આપની નહિવત અસર: રાજકીય વિશ્લેષકો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. આ તરફ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહી ખાસ કરીને ભાજપ માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. કારણ કે સહકારી આલમના દિગ્ગજ નેતા અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને કારણે ભાજપને કેટલાક વિસ્તારોના બળવાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે રાજકીય વિશ્લેષકોના મતે પછાત વર્ગો (ઓબીસી), ચૌધરી સમુદાય વચ્ચે રોષની સંભાવના છે તો સ્થાનિક જાતિ સમીકરણ અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના અંતિમ પરિણામમાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.
ગુજરાતમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોની 93 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. આ તરફ ઉત્તર ગુજરાતના રાજકીય વાતાવરણને લઈ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ડેરી સહકારી નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડને કારણે ભાજપને કેટલાક વિસ્તારોમાં બળવાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ગુજરાતનો રાજકીય ઇતિહાસ
ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં 32 વિધાનસભામાંથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં કોંગ્રેસે 32 સીટો હાંસલ કરી હતી. બીજી તરફ ભાજપે અનુક્રમે 2012 અને 2017માં 15 અને 14 સીટો જીતી હતી. છેલ્લી ચૂંટણીમાં એક બેઠક સ્વતંત્ર ઉમેદવાર જિગ્નેશ મેવાણીના ખાતામાં ગઈ હતી, જેમને કોંગ્રેસનો ટેકો મળ્યો હતો.
આ તરફ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં તેના મોટાભાગના હાલના ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમાંથી 11 લોકોએ ફરીથી ટિકિટ આપી છે. તો વળી ભાજપે તેના 14 વર્તમાન ધારાસભ્યોમાંથી માત્ર છને ટિકિટ આપી છે અને બાકીના વિધાનસભા મતદારક્ષેત્રોમાં નવા ઉમેદવારોને તક આપી છે. બંને પક્ષોએ સ્થાનિક જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પાટીદાર અને કોળી સમુદાયોના ઉમેદવારોને મેદાનમાં ઉભા કર્યા છે.
ઉત્તર ગુજરાતમાં "આપ" અસર કરશે ?
રાજકીય નિષ્ણાતો માને છે કે, ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની અસર થવાની સંભાવના ઓછી છે. નિષ્ણાતોના મતે, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા હોઈ શકે છે. તેમનું માનવું છે કે, અરવિંદ કેજરીવાલથી પાર્ટી "આપ" દક્ષિણ ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કેટલીક બેઠકોના ચૂંટણી પરિણામોને સંભવિત અસર કરી શકે છે.
વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમાજ નારાજ
વિશ્લેષકો અને સામાજિક જૂથના સભ્યોના જણાવ્યા અનુસાર 800 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં સહકારી નેતા વિપુલ ચૌધરીની ધરપકડથી તેમના સમુદાયના લોકો ગુસ્સે થયા છે. આ સમુદાયમાં બનાસકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાના મતદારોનો મહત્વપૂર્ણ ભાગ છે. દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર સહકારી પ્રમુખ હોવા છતાં ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હોવાનો આરોપ છે. ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ચૂંટણી પહેલા આપમાં જોડાવા વિશે અટકળો થઈ હતી પરંતુ આવું થઈ શક્યું નથી.
અર્બુદા સેના બિન-રાજકીય રહેશે: મોંઘજી ચૌધરી
આ તરફ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેના સાથે સંકળાયેલા મોંઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સામાજિક જૂથના સભ્યો તેમની પસંદગી મુજબ તેમના મતો આપશે અને તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી. મોંઘજીભાઈ ચૌધરીએ કહ્યું કે, તેઓ મતદાન દરમિયાન ઉમેદવારો અને સ્થાનિક મુદ્દાઓ જેવા પરિબળો પર વિચાર કરશે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સમુદાયના લોકો વિપુલ ચૌધરી સાથે જે બન્યું તેનાથી ગુસ્સે છે, પરંતુ અર્બુદા સેનાએ બિન-રાજકીય રહેવાનું નક્કી કર્યું છે.