મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ સત્તાવાળાઓ શહેરીજનોને લાંબા સમયથી દરરોજ બે કલાકના પાણી પુરવઠાના બદલે ર૪ કલાક પાણી પૂરું પાડવાનું સ્વપ્ન બતાવી રહ્યા છે. શાસકો દ્વારા ચાર પાંચ વર્ષ પહેલાં જોધપુરમાં ર૪ કલાક પાણી પૂરું પાડવા પાઈલટ પ્રોજેકટ તૈયાર કરાયો હતો. જોકે હજુ પણ આ પાઈલટ પ્રોજેકટમાં તારીખ પર તારીખ અપાઇ રહી છે.
બોડકદેવ વિસ્તારમાં પાણીની લાઇન નાખવા અને મેન્ટેનન્સ કામગીરીમાં ધાંધિયાં
તમામ માહિતી વેબસાઇટ પર મૂકવાની જાહેરાતો ગુલબાંગ પુરવાર થઈ
ર૦૧૭-૧૮ દરમ્યાન વોર્ડ દીઠ અપાયેલાં પાણી-ગટર કનેકશનની કુલ સંખ્યા અંગે તંત્ર અંધારાંમાં
બીજી તરફ ઔડાની જૂની લિમિટના વિસ્તારોમાં લાખો નાગરિકો આજે પણ નર્મદાનું શુદ્ધ પાણી પીવાના બદલે ઊંચું ટીડીએસ ધરાવતું બોરનું પાણી પીવે છે. હજુ પણ આ વિસ્તારના નાગરિકોને સ્ટેગરિંગથી પાણી અપાય છે. આટલી બધી વિટંબણા વચ્ચે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગ દ્વારા નાગરિકોને અપાયેલા પાણી અને ગટર કનેકશનની માહિતી જ ગાયબ હોવાની ચોંકાવનારી વિગત જાણવા મળી છે.
આમ તો, સમગ્ર શહેરમાં ઇજનેર વિભાગ દ્વારા નાગરિકોને અપાતાં પાણી અને ગટર કનેકશનનો કોઇ વ્યવસ્થિત રેકોર્ડ રખાતો નથી. વર્ષર૦૧પ-૧૬ અને ૧૬-૧૭ દરમ્યાન શહેરમાં વોર્ડ દીઠ અપાયેલા પાણીનાંં કનેકશન અને તેનાથી થયેલી આવક તેમજ પાણીનાં કનેકશન આપવા નક્કી થયેલી નીતિની વિગત મ્યુનિસિપલ ઇજનેર વિભાગ પાસે નથી. પાણીના કનેકશન આપવાથી તંત્રને થયેલી લાખો રૂપિયાની આવકનો હિસાબ મળતો ન હોઇ તે બાબત બહુ ગંભીર છે. આ જ પ્રકારે ગટરના કનેકશન મામલે તંત્ર બેદરકાર પુરવાર થયું છે.
વર્ષ ર૦૧પ-૧૬ અને ર૦૧૬-૧૭ દરમ્યાનનાં વોર્ડ દીઠ અપાયેેલ ગટરનાં કનેકશન અને તેની આવક તેમજ ગટરના કનેકશન અંગે નક્કી થયેલી નીતિ બાબતે પણ તંત્ર નઘરોળ પુરવાર થયું છે. જાણકાર સૂત્રો કહે છે નવા પશ્ચિમ ઝોનમાંથી અલગ કરાયેલા ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનનાં મામલે પણ તંત્રે ભારે બેદરકારી દાખવી છે.
વર્ષ ર૦૧૭-૧૮માં ઉત્તર-પશ્ચિમ ઝોનનાં ઇજનેર વિભાગે લાપરવાહીથી કામ કરીને બોડકદેવ, થલતેજ, ગોતા સહિતના વોર્ડ ધરાવતા આ ઝોનમાં અપાયેલા પાણી અને ગટરના કનેકશનની કુલ સંખ્યા તેનાથી થયેલી કુલ આવક વગેરેની માહિતીનો કોઇ રેકોર્ડ કર્યો નથી. બોડકદેવ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ નંખાયેલી પાણીની લાઇનનો ખર્ચ કે તેને મેઇન્ટેઇન કરવા માટે જરૂરી રજીસ્ટર જાળવવાની તસ્દી મ્યુનિ. ઇજનેર વિભાગે લીધી નથી.
મ્યુનિસિપલ ઇજનેર વિભાગ રોડના કામમાં ભારે ભ્રષ્ટાચારી પુરવાર થયું છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા કસુરવાર ઇજનેરોને ભારે રકમની પેનલ્ટી ફટકારી છે તેમજ મુખ્ય કસુરવાર એવા ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓને ચાર્જશીટ ફટકારીને તેમની સામે સેવા નિવૃત્ત જજ દ્વારા ઇન્કવાયરીના ચક્રો ગતિમાન કરાયા છે. બે વર્ષ પહેલાના આ રોડના કૌભાંડ સમગ્ર રાજ્યમાં ગાજ્યા હતા.
હવે ઇજનેર વિભાગ રોડ ઉપરાંત પાણી અને ગટર લાઇન બીછાવવાના કામમાં ભારે ગોટાળા આચરતા હોવાનું બહાર આવ્યું છે. સક્ષમ સત્તા દ્વારા અવારનવાર મ્યુનિ. ઇજનેર વિભાગને રોડના કામ ઉપરાંત રોડ દીઠ અપાયેલા પાણી અને ગટરના કનેકશનની કુલ સંખ્યા, તેનાથી થયેલી આવક વગેરેની માહિતી સામાન્ય નાગરિક પણ મ્યુનિસિપલ તંત્રની વેબસાઇટ પર જોઇ શકે તે રીતે મૂકવાની અને તેને સમયાંતરે અપડેટ કરવાની તાકીદ કરાઇ હોવા છતાં પણ સમગ્ર ઇજનેર વિભાગ સક્ષમ સત્તાની તાકીદને પણ ઘોળીને પી ગયું છે.