ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાંધણ ગેસના ભાવમાં મોટો ઘટાડોકરવામાં આવ્યો છે. સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 100.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટી ગયા છે. 1 જૂલાઇથી દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડર 637 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જેની માહિતી તેલ કંપનીઓએ આપી છે.
સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના બજારમાં ભાવમાં ઘટાડો આવવાની સાથે સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર માટે પણ રિફિલ લેતા સમયે 100.50 રૂપિયા ઓછા દેવાના રહેશે. સબસિડીવાળા સિલિન્ડરના ગ્રાહકોને એક જૂલાઇથી રિફિલ પ્રાપ્ત થવા પર 737.50 રૂપિયાના બદલે 637 રૂપિયા ચૂકવવાના રહેશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને રવિવારે જાહેર થયેલી રિલીઝમાં આ જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા અને ડૉલર-રૂપિયા એક્સચેન્જ દરમાં આવેલ ફેરફારના પ્રભાવ સ્વરૂપે એલપીજી સિલિન્ડર(14.2 કિલો)ના ભાવમાં ઘટાડો આવ્યો છે. નવા ભાવ એક જૂલાઇથી લાગૂ થશે. સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને રિફિલ લેતા સમયે બજાર ભાવ પર ચૂકવણી કરવાની રહેશે.
ત્યારબાદ સબસિડીની રકમ ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ગ્રાહકોને એક વર્ષમાં 12 સિલિન્ડર મળે છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં આવેલ મોટા ભાવ ઘટાડા બાદ ગ્રાહકોને 142.65 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડીની રકમ મળવા પર જૂલાઇ 2019માં સિલિન્ડરના અસરકારક ભાવ 494.35 રૂપિયા હશે.