રાજ્યમાં લેવાયેલી બિનસચિાલય ક્લાર્કની પરીક્ષાને લઈને એકબાદ એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ગત તારીખ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે. ત્યારે FSLની તપાસમાં આ પેપર લીક થયાનું સામે આવ્યું છે. આ મામલે વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહે વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.
FSLની તપાસમાં પેપર લીક થયાનું સામે આવ્યું
મોબાઇલ મેસેજના આધારે પેપર લીક થયાનું સામે આવ્યું
પરીક્ષાના નિયત સમય પહેલા પેપર લીક થયું હતું
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે SITની રચના થઇ હતી. જેમાં 10 દિવસમાં તપાસ પૂર્ણ કરાશે. ત્યારે FSLની તપાસમાં સામે આવ્યું છે કે, બિન સચિવાલયની પરીક્ષાનું પેપર મોબાઇલ મેસેજના આધારે લીક થયું છે. પરીક્ષાના નિયત સમય પહેલા પેપર લીક થયું હતું. ત્યારે હવે આ પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવી રહ્યું છે.
આ મામલે યુવરાજસિંહે કહ્યું છે કે, આંદોલન દરમિયાન સરકાર સાથે વાતચીત થઇ ત્યારબાદ SITની રચના કરવામાં આવી હતી. આ દરમિયાન સરકાર પાસે અમારી માંગ હતી કે જો પેપર લીક સાબિત થાય તો પરીક્ષા રદ્દ કરવામાં આવે. ત્યારે અમારી સરકાર પાસે આશા છે કે આ પરીક્ષા તેઓ રદ્દ કરશે. આ વચ્ચે જો આ પરીક્ષા રદ્દ નહીં થાય તો? અમારે ફરી બાયો ચડાવી પડશે. સરકારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવાની જરૂર છે. તેમજ પરીક્ષામાં સુધારાની જરૂરી છે. સરકાર યોગ્યરીતે પરીક્ષા પણ લઇ શકતી નથી. સરકારે પોતાની ભૂલ સ્વીકારવી જોઇએ.
યુવરાજસિંહે માંગ કરી છે કે, મહેનતુ વિદ્યાર્થીઓની સીટ ભ્રષ્ટાચારીઓ ના લઇ જાય. ભવિષ્યમાં જે ભરતી થાય તેમાં અન્યાય ના થાય. પરીક્ષા રદ્દ થાય અને નવી પરીક્ષાની તારીખ જાહેર થાય. સરકારે પરીક્ષાઓમાં સુધારા કરવાની જરૂર છે.
ત્યારે કેટલાક સવાલો થાય છે કે શું હવે સરકાર પરીક્ષા રદ્દ કરશે ? પેપર લીક કરનાર સામે શું કાર્યવાહી થશે ? વિદ્યાર્થીઓએ આપેલા પુરાવા સાચા જ હતા ? પેપર ફોડનારને ક્યારે દંડાશે?