આજે બિન સચિવાલય ક્લાર્ક ઉમેદવારોની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન લેવાઇ હતી. વર્ગ 3ની 3 હજાર 901 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઇ હતી. જેમાં 3 હજાર 173 કેન્દ્રોમાં લેખિત પરીક્ષા લેવાઇ હતી. ત્યારે આ પરીક્ષા ફરી વિવાદમાં આવી છે. જાણો શું છે વિવાદ...
બિનસચિવાલયની પરીક્ષાના વોટ્સએપ સ્ક્રીન શોટ્સમાં જવાબ થયા ફરતા
પેપરના ટાઈમિંગ અને વોટ્સએપનો ટાઈમિંગ એક સરખા
છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પરિક્ષા વિવાદમાં મુકાઇ છે. ત્યારે આજે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષાના વોટ્સએપ સ્ક્રીન શોટ્સમાં જવાબ ફરી રહ્યાં છે. પેપરનો ટાઈમિંગ અને વોટ્સએપનો ટાઈમિંગ એક સરખા છે. 12 વાગ્યે પેપર શરૂ થયું અને 12 વાગ્યાની આસપાસ જવાબો આવ્યા છે. આ સ્ક્રિન શોટ્સની સત્યતાની તપાસ કરવામાં આવે તો ખરૂ સત્ય બહાર આવશે ? જોકે વીટીવી પુષ્ટિ નથી કરતું.
મહત્વનું છે કે આ સ્ક્રીન શોટ્સમાં છે તે તમામ પ્રશ્નપત્રના જ જવાબ છે. કોઇ જાણ ભેદૂએ કોઇને ફોટા પાડીને મોકલ્યા હોવાની શક્યતાઓ છે. આ અંગે તપાસ થવી જરૂરી છે.
પેપરના સીલ તૂટેલા હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગરમાં બિનસચિવાલયની પરીક્ષામાં હોબાળો થયો હતો. એમ.પી.શાહ કોમર્સ કોલેજના પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. પરીક્ષાના પેપરના સીલ તૂટેલા હોવાનો પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. ગેરરીતિ આચરવાના હેતુથી સીલ તૂટેલા હોવાનો પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. પરીક્ષાર્થીઓએ ઉગ્ર હોબાળો કરતા સ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પેપર ફુટ્યું હોવાની વાત ખોટી: વોરા
સુરેન્દ્રનગરમાં પેપરના સીલ તુટવાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આ મામલે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે પેપર ફુટ્યું હોવાની વાત ખોટી છે. આ પેપર વિદ્યાર્થીઓની સામે ખોલવાના હોય છે. પરંતુ પરીક્ષા ખંડમાં લઈ જતા પહેલા પેપરનું કવર ખોલવામાં આવ્યું હતું. અંદરના 30 પેપર સુરક્ષિત હતાં. પેપર પહેલા ખુલેલા હોવાથી વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. આ હોબાળો થતા RAC, કલેક્ટર ત્યાં પહોંચી ગયા હતાં. વિદ્યાર્થીઓ સાથે વાતચીત બાદ 20 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ન હતી. જ્યારે બાકીના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.