બિન અનામત આયોગને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ હપ્તે 125 કરોડની કરવામાં આવી ફાળવણી
રાજ્યમાં બિન અનામત આયોગને 125 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
રાજ્ય સરકારે બિન અનામત આયોગને પ્રથમ હપ્તે ગ્રાન્ટ ફાળવી
નાણાં વિભાગની મંજૂરી બાદ ગ્રાન્ટ ફાળવવામાં આવી
બિનઅનામત આયોગ દ્વારા વિદ્યાર્થીઓને લાભ ન અપાતો હોવાના દિનેશ બાંભણિયાના આક્ષેપો બાદ રાજ્ય સરકારે બિન અનામત આયોગને 125 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે. નાણાં વિભાગની મંજૂરી બાદ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે બિન અનામત આયોગને પ્રથમ હપ્તે ગ્રાન્ટ ફાળવી. આવી રીતે વર્ષમાં 4 હપ્તાથી આયોગને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન બાદ બિનઅનામત વર્ગના યુવાનોને સ્વરોજગારી અને ઉચ્ચ શિક્ષણ સહિતના લાભો આપવા માટે બિનઅનામત આયોગ અને નિગમની રચના કરવામાં આવી હતી. જેની કામગીરી સામે દિનેશ બાંભણિયાએ સવાલો ઉઠાવીને સીએમને પત્ર લખ્યો હતો.
દિનેશ બાંભણિઆએ સીએમને શું લખ્યું હતું પત્રમાં ?
તમને જણાવી દઇએ કે, દિનેશ બાંભણિયાએ મુખ્યમંત્રીને બિન અનામત વર્ગના નિગમ અને આયોગને બંધ કરવા બાબતે પત્ર લખીને જણાવ્યું હતું કે, 'ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનના પ્રયાસોથી બનાવવામાં આવેલ બિન અનામત વર્ગના આયોગ અને નિગમમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઇ પણ પ્રકારની વ્યવસ્થા નથી.' આ સાથે પત્રમાં જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ વારંવાર ધક્કા ખાઇ રહ્યાં છે. ટેલિફોન પણ ઉપાડતા નથી. કોઇ પણ પ્રકારના જવાબ સમયસર મળતા નથી. એક વર્ષથી કરેલી અરજીઓનું હજુ કોઇ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું.'
વિદ્યાર્થીઓની સમસ્યા અંગે કરી હતી રજૂઆત
વધુમાં જણાવ્યું હતું કે, 'ઘણી બધી રજૂઆતો પત્રો દ્વારા અને રૂબરૂ પણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઇ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. ઘણા વિદ્યાર્થીઓએ નિગમમાં અરજીઓ કરી ને લોન અથવા સહાયની અપેક્ષા એ પોતાના અભ્યાસની શરૂઆત કરે છે, પછી સમયસર પૈસા ન મળતા ભ્રષ્ટાચાર અને દેવામાં આવી જાય છે. જેથી ઘણા પરિવારો હેરાન-પરેશાન થઇ રહ્યાં છે.'
બજેટમાં કરવામાં આવી છે 500 કરોડની જોગવાઇ
ઉલ્લેખનીય છે કે બજેટમાં બિનઅનામત વર્ગ નિગમ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા બિન અનામત આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. આ આયોગ દ્વારા દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે, JEE, NEET માટે કોચિંગ લોન, વિદેશ અભ્યાસ લોન સહિતની સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારે આ વર્ષે પણ રૂ.500 કરોડની જોગવાઈ કરી છે. જે પૈકી પ્રથમ હપ્તા પેટે 125 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી.