મહેસાણાઃ છેલ્લા થોડા દિવસોમાં બિનગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાની સીધી અસર મહેસાણામાં ચાલતી ઇન્ડસ્ટ્રીઝ પર થઇ રહી છે. મહેસાણા દેદીયાસણ જીઆઈડીસીમાં ૪૦૦થી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં ૧૫૦૦થી વધુ બિનગુજરાતીઓ કામ કરતા હતા. જેમાંથી છેલ્લા ત્રણ દિવસોથી ૭૦૦થી ૮૦૦ કામદારો તેમના પર થઇ રહેલા હુમલાઓના ડરથી કામ છોડી પરત વતન નીકળી ગયા છે. જેના કારણે GIDCમાં ચાલતી ફેકટરીઓનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે.
ઉત્તરભારતીય લોકો પર થઇ રહેલા હુમલાઓની સીધી અસર હવે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ પર પડી રહી છે. મહેસાણા જી આઈ ડી સી માં ચાલતી ૪૦૦ જેટલી ફેકટરીઓમાં કામ કરતા મોટા ભાગના ઉત્તરભારતીય કામદારો તેમના પર થતા હુમલાઓની બીકના કારણે પરત વતન જવા રવાના થઇ ગયા છે. જેથી ઇન્ડસ્ટ્રીઓ ઠપ્પ થઇ ગઈ છે. અને રોજનું અંદાજીત ૨૫ કરોડ જેટલું નુકશાન થઇ રહ્યું છે.
આમ એક તરફ સરકાર દ્વારા હિંમતનગરમાં ૧૪ માસની બાળકી પર થયેલ બળાત્કાર મામલે જરૂરી સૂચનો આપી દેવાયા છે. ફાંસી સુધીની સજાની માંગ કરાઈ છે. આરોપી પડકી લેવાયો છે. છતાં કેટલાક અસામાજિક તત્વોને કારણે આ પ્રકારે ઉત્તરભારતીયોને થતી રંજાડને કારણે મૂળ નુકશાન તો ગુજરાતી લોકોને જ થઇ રહ્યું છે તે ચોક્કસ છે.
બિન ગુજરાતીઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ભાજપ એક તરફ દોષનો ટોપલો સીધો ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ઉપર ઢોળી રહ્યો છે. તો અલ્પેશ ઠાકોર પણ પુરાવા સાથે પોતાનો બચાવ કરતા નજરે ચઢ્યા છે.