ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રશ્ચિમ બંગાળમાં જનસભા સંબોધી હતી. આ સભામાં અમિત શાહે સાધ્વ પ્રજ્ઞાના ચાલતા વિવાદ મામલે સાધ્વીનો બચાવ કર્યો હતો. કોલકત્તામાં સભા દરમિયાન અમિત શાહે કોંગ્રેસ અને મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાઠાકુરનો બચાવ કર્યો છે. પશ્ચિમબંગાળના કોલકત્તામાં સાધ્વી સાથે જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં શાહે નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતુ કે, સાધ્વીને જુઠ્ઠા કેસમાં ફસાવ્યા.
આ દરમ્યાન શાહે એમ પણ પ્રશ્ન કર્યો કે, સમજૌતા એક્સપ્રેસમાં બ્લાસ્ટ કરાવનારા લોકો અત્યારે કયાં છે? આ દરમ્યાન શાહે મમતા બેનર્જી સરકાર પર પણ નિશાન સાધ્યુ હતું. શાહે આરોપ મૂક્યો કે મમતા સરકાર ચૂંટણી દરમ્યાન મતદાતાઓની અંદર ડરનો માહોલ ઉભો કરવાની કોશિષ કરી રહ્યાં છે.
તેમણે દાવો કર્યો કે બંગાળમાં પરિવર્તન થવા જઇ રહ્યું છે અને ભાજપ અહીં મોટી જીત નોંધાવી શકશે. જ્યાં સુધી સાધ્વી પ્રજ્ઞાનો પ્રશ્ન છે તો હું કહેવા માંગીશ કે હિન્દુ ટેરરના નામથી એક નકલી કેસ બનાવ્યો હતો. દુનિયામાં દેશની સંસ્કૃતિને બદનામ કરાઇ, કોર્ટમાં કેસ ચાલ્યા તો તેને નકલી ગણાવ્યા હતા.
તો પ્રશ્ન એ થાય છે કે, સ્વામી અસીમાનંદ અને બાકી લોકોને આરોપી બનાવી નકલી કેસ બનાવ્યો તો સમજૌતા એક્સપ્રેસમાં બ્લાસ્ટ કરનાર લોકો કયા છે, જે લોકો પહેલાં પકડાયા હતા, તેમને કેમ છોડ્યા. બધા મળી ગયા છે.
વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, દેશના વિકાસ કે સુરક્ષાના પ્રશ્ન પર બધા મૌન છે. તેમની પાસે કોઇ નીતિ નથી. જ્યારે અમે સ્પષ્ટ છીએ. ભ્રષ્ટાચાર, આતંકવાદ, એનઆરસી કે પછી કોઇપણ મુદ્દા જે દેશ હિત સાથે જોડાયેલા છે.
પશ્ચિમ બંગાળની જનતા સાથે ભાજપને વોટ આપવાની ભાજપ અધ્યક્ષે અપીલની કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમે લાંબા સમય સુધી અહીં વામદળોને તક આપી. ત્યારબાદ તમે મમતા દીદી પર વિશ્વાસ મુક્યો. પરંતુ તેમણે તમામનો વિશ્વાસ તોડ્યો છે. હું તમને આશ્વાસન આપું છું કે, એક વખત ભાજપને તક આપી જુઓ, અમે રાજ્યને વિકાસના પથ પર આગળ લાવીશું. અમે પશ્ચિમ બંગાળને નવી ઊંચાઇ આપીશું.
મમતા સરકાર પર તાનાશાહીના વલણનો આરોપ મૂકતા શાહે કહ્યું કે, તેઓ અમારા નેતાઓને રેલી કરવા દેતી નથી. અમારા હેલિકોપ્ટર ઉતરવા દેતા નથી. હવે તેમને જ ભોગવવું પડી રહ્યું છે. પ્રજા તેમની રેલીઓનો બહિષ્કાર કરી રહ્યા છે. મમતા સરકાર પર મતદાતાઓને ડરાવાનો આરોપ મૂકતા કહ્યું કે, છેલ્લાં બે તબક્કાની ચૂંટણીઓમાં જ મમતા બેનર્જી બંગાળમાં પોતાની હાર જોવા લાગ્યા છે. તેના લીધે જ તેઓ ગિન્નાયા છે. એવામાં તેઓ ચૂંટણી પંચ પર નિશાન સાંધી રહ્યા છે. પરંતુ તમારે ડરવાની જરૂર નથી. તમે એક થઇને બૂથ પર જાઓ અને તમારા મતનો ઉપયોગ કરો. રાજ્યમાં લોકતંત્ર લાવવાનું છે તો ભાજપની જીત જરૂરી છે.આમ શાહે મમતાના ગઢમાં જઈને મમતા સરકાર સામે સટાકા માર્યા હતા.